સમગ્ર રાજ્યમાં મેઘમહેર: સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો છલકાયા
Live TV
-
જામનગર જિલ્લાના કુલ 26 ડેમોમાંથી 20 ડેમોમાં પાણીની ભારે આવક
સમગ્ર રાજ્યમાં મેઘમહેર ચાલી રહી છે. જેના કારણે ચારેબાજુ આનંદ છવાઈ ગયો છે.રાજ્યના સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત. તમામ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે..
મેઘરાજાએ અવિરત મેઘ કૃપા વરસાવતા જામનગર જિલ્લાના કુલ 26 ડેમોમાંથી 20 ડેમોમાં પાણીની ભારે આવક જોવા મળી છે, જ્યારે પંદરથી વધુ ડેમના દરવાજા ખોલાયા છે. જ્યારે મોટાભાગના ડેમોમાં ઉપરવાસથી પાણીની આવક થઈ રહી છે. જેથી નીચેના ગામોને એલર્ટ કરી તંત્ર પણ સાબદુ બન્યું છે. જોકે જામનગરની જીવાદોરી સમાન અને પીવાનું પાણી પુરુ પાડતો રણજીતસાગર ડેમ તેમજ સિંચાઇ અને પીવાનું પાણી પૂરું પાડતો એવો સસોઇ ડેમ પણ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમના ઓવરફલોનો નજારો નિહાળવા માટે જામનગરના શહેરીજનો ડેમ પર પહોંચી રહ્યા છે. જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ ડેમ ઓવરફલો થતાં શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી
મહીસાગર જિલ્લાના કડાણા ડેમનું લેવલ 317 ફૂટ પર પહોંચ્યું છે. ડેમમાં ઉપરવાસમાંથી 45,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમના બે ગેટ ખોલાયા છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડાતા ચાર પાવર હાઉસ કાર્યરત કરાયા છે. ડેમમાંથી કુલ 44,042 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાઈ રહ્યું છે. જ્યારે સુજલામ સુફલામ કેનાલમાં 1100 ક્યુસેક અને કેએલબીસી કેનાલમાં 425 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડાંગ જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં, ડુંગરના પાણી, નીચાણવાળા વિસ્તારમાં વહી જતા હોવાથી ઉનાળામાં પાણીની અછત જ રહેતી હતી. પરંતુ દમણગંગા પ્રોજેક્ટ હેઠળ ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ડેમની રચના થઈ હોવાથી આ વર્ષે ઉનાળામાં પણ પીવાના પાણીની તકલીફ નહીં રહે. હાલ ડાંગ જિલ્લામાં આવેલા નાના મોટા 61 બંધ ઓવરફ્લો થઈ ગયા છે. ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાક લેવામાં પણ તેની મદદ મળશે
કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે ઐતિહાસિક લેવલે પહોંચી છે. આટલા વર્ષોમાં પ્રથમ વખત નર્મદા ડેમે 136.17 મીટર ની સપાટી પાર કરતા રાજ્ય માટે સારા સમાચાર છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4 લાખ,40 હજાર 289 ક્યુસેક પાણીની આવક સામે 3 લાખ, 20 હજાર,819 ક્યુસેક પાણીની જાવક છે..