દેશભરમાં કોરોનાએ ચિંતા વધારી; છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1,59,632 કેસ
Live TV
-
દેશભરમાં કોરોના સંક્રમણ ફરી એકવાર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં 1,59,632 કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિના બાદનો આ સૌથી ચિંતાજનક વધારો સામે આવ્યો છે. જેની સામે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 40,863 દર્દીઓ કોરોના મહામારીને મ્હાત આપી સ્વસ્થ થયા છે, જ્યારે 327 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની પરિસ્થિતે દેશમાં કોરોનાના સક્રિય કેસોનો આંકડો વધીને 5,90,611 પર પહોંચ્યો છે. જ્યારે સામે દેશમાં અત્યાર સુધીમાં કુલ 3.44 કરોડથી પણ વધારે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
વધી રહેલા આ કોરોના સંક્રમણને ડામવા સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જે અન્વયે દેશમાં છેલ્લા 24 કલાકમાં 89 લાખથી પણ વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યારસુધીમાં રસીના કુલ 151.58 કરોડથી પણ વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
બીજી તરફ દેશના 27 રાજ્યોમાં ઓમિક્રોનનું સંક્રમણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. અત્યારસુધીમાં ઓમિક્રોનના કુલ 3623 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 1409 દર્દીઓ સાજા થયાં છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ 1009 અને દિલ્લીમાં 513 કેસ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ દ્વારા ઓમિક્રોનને હળવાશથી ન લેવા માટે ચેતવણી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે 11 મી જાન્યુઆરીથી અમલમાં મૈકવામાં આવશે. કોવિડની દ્રષ્ટિએ રીસ્ક શ્રેણીમાં મુકાયેલા દેશોમાંથી ભારત આવતા બધા મુસાફરોને સાત દિવસ પોતાના ઘરે આઇસોલેશનમાં રહીને આઠમા દિવસે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે અને પરિણામ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.
