દેશમાં કોરોનાના 1,79,723 નવા કેસ નોંધાયા, ઓમિક્રૉનના દર્દીઓ 4,031 પાર
Live TV
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,79,723 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 46,569 દર્દીઓએ કોરોનાને માત આપી. અત્યાર સુધી 3.45 કરોડથી વધારે દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે. ગઇકાલે કોરોનાના કારણે 146 દર્દીઓએ જીવ ગુમાવ્યો. કોરોનાના નવા કેસ સાથે દેશમાં 7,23,619 સક્રિય કેસ વધ્યા છે.
દેશમાં કોરોનાથી રિકવરી રેટ હાલ 96.62 ટકા પર છે. દૈનિક પોઝિટિવિટી રેટ 13.29 ટકા તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 7.92% છે.
રસીકરણની વાત કરીએ તો, ગઇકાલે 29 લાખથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ દેશમાં કુલ રસીકરણનો આંકડો 151.94 કરોડને પાર પહોંચી ગયો છે.
ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ માટે 13,52,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 69.15 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
દેશમાં ઓમિક્રૉનના 4,031 કેસ સામે આવ્યા છે, જેમાંથી 1,552 દર્દી સાજા થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 568 અને દિલ્લીમાં ઓમિક્રૉનના 382 કેસ નોંધાયા છે.
