દેશમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઇ સમીક્ષા બેઠક
Live TV
-
દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અન્ય 5 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશનાં આરોગ્ય મંત્રીઓ અને સચિવો સહભાગી થયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આ તમામ રાજ્યોમાં કોરોના સંલગ્ન દિશા-નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ સુચારુ બનાવવા, કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા કોરોના સંલગ્ન વિવિધ મુદ્દાઓનાં અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આરોગ્ય વિભાગ આ તમામ રાજ્યોની કોરોના સંદર્ભે માળખાગત સુવિધાઓ, દવાઓનાં અને રસીના જથ્થા સહિતની તમામ જરૂરિયાતને સત્વરે પૂરી કરવા માટે સજ્જ હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું.
રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં કાર્યરત વેક્સિનેશન ડ્રાઇવ, આઇ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરિયામંદ કેસોમાં આઇસોલેશન, હોસ્પિટલોમાં દવાઓનો,રસીનો જથ્થો, સારવાર માટે માળખાકીય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યની સજ્જતા અંગે પણ કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા. રાજ્યમાં નોંધાઇ રહેલા કોરોના-ઓમિક્રોનનાં કેસોમાંથી 96 ટકા થી વધુ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે તેમજ અત્યારે નોંધાઈ રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલાઇઝેશન અને ક્રિટિકલ કેર દર ખૂબ જ નીચો હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા હોમ આઇસોલેશનનાં કોરોનાગ્રસ્ત દર્દીઓને ટેલીમેડિસીન, ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ધરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી સારવારના અભિગમથી પણ કેન્દ્રીય મંત્રીને અવગત કરાવ્યા હતા. આ કોન્ફરન્સમાં દરેક રાજ્યમાં 15 થી 18 ના તરૂણો, 60 થી વધુ વયના વયસ્કો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સનાં રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ESRP-2.0.પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે દરેક રાજ્યની કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવશે.
