ફેક ટ્વિટર એકાઉન્ટ પર જમ્મુ-કાશ્મીર પોલીસે લીધા કડક પગલા
Live TV
-
અફવાઓ ફેલાવતા ટ્વિટર હેન્ડલની થઈ ઓળખ, જમ્મુ-કાશ્મીર પોલીસે લીધા કડક પગલાઓ
જમ્મુ-કાશ્મીરમાં હાલમાં અનુચ્છેદ 370 હટાવવામાં આવી છે. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે કે કેટલાક આતંકી જુથ જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર એવો પ્રયત્ન કરી રહી છે કે સોશિયલ મીડિયા પર શાંતિમાં ખલેલ પડે તેવી કોઈ બાબતો ન ફેલાવવામાં આવે. આ કારણે જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે કેટલાક ટ્વિટર એકાઉન્ટ પર કડક એક્શન લેવામાં આવ્યાં છે.
કાશ્મીર પોલીસ આઈજી એસ.પી.સૈનીના જણાવ્યાનુસાર કેટલાક એવા ટ્વિટર હેન્ડલની ઓળખ કરવામાં આવી છે. જેઓ અફવાઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં હતાં. આ ટ્વિટર એકાઉન્ટ રાજ્યની બહારથી ઓપરેટ થતાં હતાં અને અફવાઓ ફેલાવતાં હતાં. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર પ્રિન્સિપલ સેક્રેટરી રોહીત કંસલે સિક્યોરિટી એજન્સી દ્વારા ફાયરિંગ થયું હોવાની વાતને પણ નકારી હતી. શ્રીનગરમાં મીડિયા કોન્ફરન્સનું સંબોધન કરતાં રોહીત કંસલે જણાવ્યું હતું કે પોલીસ આ એકાઉન્ટ વિશે હજુ વધુ તપાસ કરી રહી છે.
રોહીત કંસલે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ પ્રકારનું ફાયરિંગ થયું નથી. સિક્યોરિટી એજન્સીઓ દ્વારા એકપણ સિંગલ બુલેટ ચાલી નથી તેમજ કોઈપણ પ્રકારની જાનહાની પણ થઈ નથી. જમ્મુ-કાશ્મીરમાં ઈદની ઉજવણી પણ શાંતિપૂર્વક થઈ છે.
નોંધનીય છે કે આ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે જમ્મુ-કાશ્મીરના લોકો સાથે તેમજ કાશ્મીર પોલીસ સાથે પણ વાત કરી હતી. જે દિવસના 16થી 17 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. અજિત ડોભાલે તેમની કામગીરીને પણ બીરદાવી હતી. આ ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, આર્મી અને બીએસએફ આ દરેક સિક્યોરિટીના સમન્વયને પણ બીરદાવ્યું હતું.