ગણતંત્ર દિવસ સમારોહમાં દિલ્હી રાજપથ ખાતે, ભારતના વિવિધ રાજ્યોના ટેબ્લો અને સાંસ્કૃતિની અદભૂત ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોએ ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો દોર, રાજપથના ભવ્ય રસ્તા પર ઐક્યથી પરોવ્યો હોય તેમ , 16 રાજ્યોની 20 ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની રાણીની વાવની ઝાંખી રાજપથની શાન બની હતી. ગુજરાતના ટેબ્લોની થીમ પાટણની હેરિટેજ વાવ:- "રાની કી વાવ" રાખવામાં આવી હતી. જે પરેડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વર્લ્ડ હેરિટેઝ તરીકે પ્રખ્યાત રાણીની વાવ, ઐતિહાસિક ધરોહર , શિલ્પ અને સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે. તો ગુજરાતી સંસ્કૃતિ એવા ગરબા પણ રાજપથના પરેડમાં જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતની વિવિધ શાળાની 150 વિદ્યાર્થિનીઓએ, ગુજરાતી ગરબા પણ પ્રસ્તુત કર્યા હતા. આ સિવાય અલગ-અલગ વિભાગોની 6 અન્ય ઝાંખીઓ જોવા મળી હતી.જેમાં દેશની સાંસ્કૃતિક અને આર્થિક પ્રગતિની સુંદર ઝલક નિહાળી, લોકો અભિભૂત થઈ ગયા હતા.