પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનને સંબોધન કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટીવના ઉત્પાદન એકમનો શિલાન્યાસ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3:30 કલાકે દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે જ્યાં તેઓ અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. આ સંમેલનમાં 2 લાખ કરતાં વધારે લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અંદાજે રૂપિયા 1400 કરોડથી વધારે મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેઓ દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે જે નર્મદા બેઝીન વિસ્તારમાં રૂપિયા 840 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે 280 ગામડાંઓની પાણીની જરૂરિયાત પૂરી કરી શકાશે. પ્રધાનમંત્રી રૂપિયા 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્યૂઅરેજ કાર્યો, ઘન કચરાની વ્યવસ્થાપન સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ તેમજ અન્ય પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદમાં આવેલા પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટે શિલાન્યાસ કરશે. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે. આના કારણે અંદાજે 10,000 કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. પ્રધાનમંત્રી રૂપિયા 550 કરોડના મૂલ્યની રાજ્ય સરકારની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે. આમાં રૂપિયા 300 કરોડના મૂલ્યની વિવિધ જળ પુરવઠા પરિયોજનાઓ, અંદાજે રૂપિયા 175 કરોડની દાહોદ સ્માર્ટ સિટી પરિયોજનાઓ, દૂધીમતી નદી પરિયોજના સંબંધિત વિવિધ કાર્યો, ઘોડિયા ખાતે GETCO સબસ્ટેશનનું કામ તેમજ અન્ય કાર્યો સામેલ છે.
