વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 : જાપાનના યોગદાનનો "નેક્સ્ટ ફેઝ" અંગે સેમિનાર યોજાયો
Live TV
-
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ અંતર્ગત પ્રથમ દિવસે મહાત્મા મંદિર ખાતે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા જાપાનના રાજદૂત હીરોશી સુઝુકીની ઉપસ્થિતિમાં "મેક ઇન ઇન્ડિયા" અભિયાનમાં જાપાનના યોગદાનનો "નેક્સ્ટ ફેઝ" અંગે સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારને સંબોધતા નાણા મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકાથી ભારત અને જાપાનના વ્યવસાય ક્ષેત્રે ઘનિષ્ટ સબંધો રહ્યા છે. ૨૦૦૩ થી જાપાન અને ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે. ઓટોમોબાઇલ ક્ષેત્રના વિકાસની સાથે ભારત આજે ઓટોમોબાઇલ ક્ષેત્રે મીની જાપાન બની ગયું છે. જાપાન ભારતમાં ઓટોમોબાઇલ, ગ્રીન એનર્જી અને ગાયના છાણમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી એ વાઈબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અભિનંદન પાઠવતા કહ્યું કે, ભારત અને જાપાન વર્ષોથી એક બીજા સાથે ફ્રિડમ, ડેમોક્રેસી, સુરક્ષા, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ સાથે જોડાયેલું છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને જાપાનના વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશીપમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જાપાન કેપેસીટી, ટેકનોલોજી, ઇનોવેશન, ફાઈનાન્સ ક્ષેત્રે સમૃદ્ધ છે અને ભારત સાથે મળીને સેમીકન્ડકટર ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે, તેમ જણાવી તેમણે આર્થિક સલામતિ માટે જાપાની કંપનીઓ દ્વારા ગુજરાતમાં અધિક થી અધિક રોકાણ કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સુઝુકી મોટર કોર્પોરેશનના વાઈસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવા એ કહ્યું કે, વર્ષ ૨૦૨૧ થી અમારી કંપનીએ લિથીયમ બેટરીનું મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું છે. નજીકના સમયમાં બી.ઇ.વી (battery electric vehicles) પ્રોડક્શનનું વિસ્તરણ કરવા માટે સુઝુકી મોટર ગુજરાતમાં 3200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જે પ્રતિ વર્ષ 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરશે. આ રોકાણમાં વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા 7.5 લાખથી વધારીને એક મિલિયન યુનિટ કરાશે. બીજા કાર પ્લાન્ટ માટે પણ રૂ. ૩૫ હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જે પ્રતિ વર્ષ 10 લાખ યુનિટનું ઉત્પાદન કરશે. જેના પરિણામે, ગુજરાતમાં બી.ઇ.વી ગાડીઓની ઉત્પાદન ક્ષમતામાં 2 મિલિયન યુનિટનો વધારો થશે.
સેમિનારના અંતમાં જાપાન ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઈન ઇન્ડિયા(JCCII) ના પ્રેસિડેન્ટશ્રી ટાકુરો હોરિકોશીએ આભારવિધિ કરી હતી. આ સેમિનારમાં બંને દેશોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
