શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ મેળવ્યો ભોજનનો લાભ
Live TV
-
શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવામાં આવી હતી. અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે. શ્રમિકો માટે બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. હાલ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરાની 13 સાઇટ પર શ્રમિકો માટે ભોજન પહોંચાડવામાં આવે છે.
10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર શ્રમિકોને ભોજન
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યમાં 10 જિલ્લાઓમાં 118 કડિયાનાકા પર ભોજન પ્રદાન કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં અમદાવાદ (47 કડિયાનાકા), ગાંધીનગર (4 કડિયાનાકા), વડોદરા (12 કડિયાનાકા), સુરત (18 કડિયાનાકા), નવસારી (3 કડિયાનાકા), રાજકોટ (9 કડિયાનાકા) અને મહેસાણા (7 કડિયાનાકા), વલસાડ (6 કડિયાનાકા), પાટણ (8 કડિયાનાકા) અને ભાવનગર (4 કડિયાનાકા) નો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે આ યોજના અંતર્ગત શ્રમિકોને ભોજનમાં કઠોળનું શાક, બટાકા અને મિક્ષ શાક, રોટલી, ભાત, અથાણું/મરચાં, ગોળ, દર ગુરુવારે ખીચડી-કઢી તેમજ અઠવાડિયામાં એક વખત સુખડી અથવા તો શીરો આપવામાં આવે છે. અત્યારે સરકાર તરફથી 37 રૂપિયાની સબસીડી ચૂકવીને માત્ર 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.
ઈ-નિર્માણ કાર્ડથી શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા
આ યોજનાની વ્યવસ્થાની વાત કરીએ તો શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્ડની મદદથી શ્રમિકો ભોજન મેળવે છે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન શ્રમિકો મેળવી શકે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.
