વિદેશ મંત્રી એસ. જયશંકરની મલેશિયાની બે દિવસીય મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ
Live TV
-
વિદેશ મંત્રી એસ. જયશંકરનો બે દિવસીય મલેશિયા પ્રવાસ ગુરુવારે (28 માર્ચ) સફળતાપૂર્વક સંપન્ન થયો. આ દરમિયાન તેમણે મલેશિયાના મંત્રીઓ સાથે થયેલી બેઠકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમની મુલાકાત દરમિયાન તેઓ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર બિન ઈબ્રાહિમને મળ્યા હતા. એસ. જયશંકરે ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે મલેશિયાનાપ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી.
બેઠક દરમિયાન જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી. વિદેશ મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ અભિગમ બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ લઈ જવા માટે મહત્વપૂર્ણ એજન્ડા તૈયાર કરવામાં મદદરૂપ સાબિત થશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આ સમયગાળા દરમિયાન પ્રાદેશિક વિકાસ પર વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પછી તેઓ વિદેશ મંત્રી મોહમ્મદ હસનને પણ મળ્યા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી. એસ. જયશંકરે ડિજિટલ મંત્રી ગોવિંદ સિંહ દેવ સાથે ડિજિટલ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે સીઈઓ અને ઉદ્યોગના નેતાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી.
વિદેશ મંત્રી મલેશિયામાં રહેતા ભારતીય ડાયસ્પોરાના સભ્યોને મળ્યા અને ભારત-મલેશિયા સંબંધોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. બાદમાં તેઓ મલેશિયાના ભારતીય કોંગ્રેસના પ્રમુખ તાન વિગ્નેશ્વરનને પણ મળ્યા હતા. આસિયાન અને એક્ટ ઈસ્ટ પોલિસીમાં મલેશિયા ભારતનો મુખ્ય ભાગીદાર દેશ છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રીની મલેશિયાની મુલાકાત એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ વિકસિત કરવામાં મહત્વની રહેશે.
