ભાવનગર ખાતે ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ પત્રકાર પરિષદ
Live TV
-
નવી શિક્ષણ નીતિ-2020 થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે
ભાવનગર ખાતે કેન્દ્રીય વિદ્યાલયમાં નવી શિક્ષણ નીતિ-2020ના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યાને ત્રણ વર્ષ થવા પર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ કામગીરી અને નવી નીતિથી ગુણવત્તાયુક્ત શિક્ષણને સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો છે એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય વિદ્યાલય આચાર્ય રજનીકાંત સુતરીયાએ નવી શિક્ષણ નીતિ-2020 અંગે પૂરી માહિતી આપીને જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ થકી બાળકોનો સર્વાંગી વિકાસ થશે. 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન આવેલ છે.
જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક શ્રી શૈલેષ ગાયકવાડે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થશે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ દેશ અને વિશ્વમાં તેમની કુશળતા થકી દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી શકે તે માટે નવી શિક્ષણ નીતિ-2020 ઘડવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સિલ્વરબેલ શાળાના આચાર્ય ચક્રપાણી એસ્ટરેલાએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ થકી ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમમાં વિષય પસંદગી કરવાની સુગમતા રહેશે. કોઈ વિદ્યાર્થીને સાયન્સની સાથે કોમર્સના કોઈ વિષયનો અભ્યાસ કરવો હોઈ તો પણ કરી શકે તેવી દિશામાં નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ બંનેમાં બહુભાષીયતાને પ્રોત્સાહન આપવામાં આવશે. એન્જિનિયરિંગ જેવા જટિલ વિષયો અનેક ભારતીય ભાષાઓમાં ઓફર કરવામાં આવે છે.
સીબીસી અને પી.આઈ.બી. ના ફિલ્ડ પબ્લિસિટી ઓફિસર દેવેન્દ્ર ત્રિવેદીએ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને નવી શિક્ષણ નીતિ-2020 અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપવાની સાથે વિઝન, આત્મનિર્ભર ભારત માટેની નીતિ, પાયાના સાક્ષરતાના આયામો જેવા મહત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.