અમદાવાદ: વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 10મો 'જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ-2026' યોજાયો
Live TV
-
અમદાવાદ: વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 10મો 'જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ-2026' યોજાયો
અમદાવાદ ખાતે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ (GIAA) 2026 સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં દેશના પ્રતિભાશાળી વર્લ્ડ રેકોર્ડ ધારકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત કરાયેલા ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના પવન સોલંકી એ જણાવ્યું હતું કે જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડનો મુખ્ય હેતુ દેશના વિશ્વ રેકોર્ડ ધારકો અને પ્રતિભાશાળી વ્યક્તિઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અને સન્માન આપવાનો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી આ એવોર્ડ દ્વારા હજારો પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું છે અને સમાજમાં ઉત્કૃષ્ટતા તથા નવીનતાની ભાવનાને બળ મળ્યું છે. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત બાવળીયાળી ધામના મહામંડલેશ્વર રામ બાપુએ જણાવ્યું હતું કે ભારતની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવીનતાને વૈશ્વિક ઓળખ અપાવવામાં આવા એવોર્ડ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ માત્ર સિદ્ધિઓનું સન્માન જ નહીં, પરંતુ યુવા પેઢીને નવી ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરણા પણ આપે છે.
આયોજકોના જણાવ્યા મુજબ, છેલ્લા નવ વર્ષમાં 500થી વધુ ભારતીય વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા નાગરિકોને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જેના પરિણામે સમાજમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાની ભાવના વધુ મજબૂત બની છે. કાર્યક્રમમાં બાવળીયાળી ધામના મહામંડલેશ્વર રામબાપુ, અમદાવાદ કલેક્ટર અમિત દોશી, જાણીતા અભિનેતા અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર મયુર વાકાણી, શ્રીમતી સુરેખાબા હોસ્પિટલના ડૉ. રણજીતસિંહ જોજા તથા IAS અધિકારી આલોક પાંડે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
