અમદાવાદના ચંડોળામાં આજથી મેગા ડિમોલિશનના બીજા તબક્કાનો પ્રારંભ
Live TV
-
અમદાવાદના ચંડોળામાં આજથી ડિમોલિશનના બીજા તબક્કાનો થયો પ્રારંભ. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરના દબાણો કરાશે દૂર. 3 હજારથી વધુ પોલીસકર્મીઓ અને 25 SRPની ટીમ તૈનાત.
અમદાવાદના ચંડોળા તળાવમાં બીજી તબક્કાના ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી છે. બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ ત્રણ શિફ્ટમાં કામગીરી કરીને અભિયાન પાર પાડશે. આ દબાણ દુર કરવાની કામગીરી લગભગ 3થી 4 દિવસ સુધી ચાલશે. જેમાં 8 હજારથી ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 હજાર પોલીસ અને 25 SRP કંપની તૈનાત કરવામાં આવી છે...
પોલીસે અગાઉથી આપી દીધી ચેતવણી
મેગા ડિમોલિશનની કામગીરીને પગલે સોમવારે રાત્રે અંતિમ કલાકોમાં રાતના અંધારામાં લોકો પોતાના ઘર ખાલી કરતા જોવા મળ્યા હતા. AMCએ સોમવારે બપોરે જ આ વિસ્તારમાં માઈક ફેરવી લોકોને ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી. મોડી સાંજે અને રાત્રીના સમયે લોકો ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી વાહનોમાં લઈ રવાના થતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ ડિમોલીશન કામગીરી માટે રાત્રિના સમયે જ અહીં જેસીબી સહિતના વાહનોની કતારો લાગી હતી.
તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેને પગલે ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે તેમજ ચંડોળામાંથી હજુ પણ બે-ત્રણ લલ્લા બિહીરી જેવા લેન્ડ ગ્રેબિંગ માફિયાઓને ઝડપવામાં આવી શકે છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી તેજ
ચંડોળા તળાવ ખાતે ડિમોલિશનની ફેઝ-2ની કામગીરી માટે પોલીસે 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવ્યો છે. 25 SRPની કંપની પણ બંદોબસ્તમાં જોડાયા છે અને સાથે જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ડિમોલિશનની ફેઝ-2ની કામગીરીમાં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે.