અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનની શરૂઆત, અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવાઈ
Live TV
-
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદેશ્યથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નંબર-22962 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચથી રવિવાર સિવાય દરરોજ અમદાવાદથી સવારે 06:10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર-22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચથી રવિવાર સિવાય દરરોજ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21:25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચથી મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી 18:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર-22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 માર્ચથી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઓખાથી ઉપડશે અને તે જ દિવસે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ બંને ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે. આ ટ્રેન માટેનું બુકિંગ 12 માર્ચથી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર થશે. સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો રેલવે વિભાગની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે
