કચ્છમાં કેસર કેરીની મૌસમ જામી: અંજાર મેંગો માર્કેટમાં દૈનિક 40 હજાર બોક્સની આવક
Live TV
-
કચ્છમાં છેલ્લા પાંચ દિવસથી કેસર કેરીની આવક શરૂ થતાં અંજારની મેંગો માર્કેટ ધમધમી ઉઠી છે. કચ્છના બાગાયતી પાકો માટેનું હબ ગણાતી આ માર્કેટમાં હાલ દૈનિક 30 થી 40 હજાર કેસર કેરીના બોક્સ અને 15 થી 20 હજાર ખારેક-દાડમના બોક્સની આવક થઈ રહી છે. અહીં કેસર કેરી પ્રતિ કિલો 50 થી 110 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે.
અંજાર માર્કેટમાં અંદાજે 200 થી વધુ વેપારીઓ ખેડૂતો પાસેથી માલની ખરીદી કરે છે. અહીં 1996 થી શામજી ખૂટ દ્વારા કમિશન પ્રથા બંધ કરાવવામાં આવી હોવાથી ખેડૂતોને તેમના માલના પૂરેપૂરા ભાવ મળી રહે છે. અહીં પાંચ અને દસ કિલોના બોક્સમાં પેકિંગનું ચલણ વિશેષ છે અને બપોર બાદ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.અંજાર નજીક આવેલું ખેડોઈ ગામ કેસર કેરી અને ખારેકના ઉત્પાદન માટે જાણીતું છે. આ ગામના 700 થી 800 ખેડૂતો વાર્ષિક અંદાજે 70,000 થી 1 લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે. જોકે, પ્રગતિશીલ ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આસપાસના વિસ્તારમાં ઉદ્યોગોના પ્રદૂષણ અને નીલગાયના ત્રાસને કારણે છેલ્લા પાંચ વર્ષમાં બાગાયતી પાકોના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.આગામી જૂન અને જુલાઈ મહિનામાં કેરીનું ઉત્પાદન વધવાની ધારણા છે. ગુજરાતભરમાંથી વેપારીઓ અને ગ્રાહકો અહીં કેરીની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે, જેનાથી સ્થાનિક 250 થી વધુ મજૂરોને રોજગારી પણ મળી રહી છે
