કલા, સમાજસેવા અને જાહેર ક્ષેત્રના મહાનુભાવો માટે પદ્મ એવોર્ડ માટે અરજીની તક
Live TV
-
રાજ્યના નાગરીકો પદ્મ એવોર્ડ-પુરસ્કારના આવેદન કરવા માટે કેન્દ્ર સરકારની વેબસાઈટ www.padmaawards.gov.in પર અરજી કરી શકશે
રાજ્ય સરકાર દ્વારા કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જીનીયરીંગ, ટ્રેડ અને ઉદ્યોગ, તબીબી, સાહિત્ય અને શિક્ષણ, સરકારી સેવા, રમત-ગમત વગેરે ક્ષેત્રમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપવા બદલ પદ્મ એવોર્ડ-2026 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રાજ્યના નાગરીકો પદ્મ એવોર્ડ-પુરસ્કારના આવેદન કરવા માટે કેન્દ્ર સરકારની વેબસાઈટ www.padmaawards.gov.in પર અરજી કરી શકશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ભારતના નાગરીકો આ એવોર્ડ માટે જાતિ, વ્યવસાય, પદ અને લિંગના ભેદભાવ વિના તમામ વ્યક્તિ અરજી કરી શકે છે. આ એવોર્ડ મેળવવા ઈચ્છુક નાગરીકનું કલા, સમાજ સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જીનીયરીંગ વગેરે જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન હોવું જરૂરી છે. આ એવોર્ડ માટે સમાજના નબળા વર્ગના વ્યક્તિ, અનુસુચિત જાતિ અને જનજાતિ, દિવ્યાંગ વગેરે વર્ગના નાગરીકો પણ અરજી કરી શકે છે.
પદ્મ એવોર્ડ-2026 માટે અરજી કરવા માગતા ભારતના નાગરીકો www.padmaawards.gov.in વેબસાઈટ ઉપર જઈ સીધી અરજી કરી શકે છે. રાજ્ય સરકાર તરફથી પોતાના નામ માટે ગુજરાત સરકારની ભલામણ મેળવવા તા. 30 જૂન 2025 સુધીમાં પદ્મ એવોર્ડની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ નિયત નમુનામાં જિલ્લા કલેક્ટર મારફતે સામાન્ય વહીવટ વિભાગમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે, આ એવોર્ડ માટે સરકારી અધિકારી-કર્મચારી તથા બોર્ડ કોર્પોરેશનના અધિકારી-કર્મચારી સહીત કોઈ પણ અધિકારી-કર્મચારી દરખાસ્ત કરી શકશે નહીં, પરંતુ તબીબો અને વૈજ્ઞાનિકો ક્ષેત્રે સંકળાયેલા અધિકારી-કર્મચારી પદ્મ એવોર્ડ માટે દરખાસ્ત કરી શકશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.