કલોલમાં કોલેરાના કેસ વધ્યા; અમિત શાહે જિલ્લા કલેકટરને તાત્કાલિક પગલા લેવા કર્યો આદેશ
Live TV
-
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા 10 દિવસથી કોલેરાના કેસમાં વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં કોલેરાથી 5 લોકોના મૃત્યુના સમાચાર છે. ત્યારે નાગરિકોના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેતા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરી હતી. અને કોલેરાના ફેલાવને ત્વરિત અટકાવવા તેમજ પ્રભાવિત લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે અસરકારક પગલાં લેવા આદેશ કર્યો છે. તો આ અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, નગર પાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા સીવેજ લીકેજ શોધી લાઈનને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીમાં ક્લોરિફિકેશનની કામગીરી હાથ ધરી નાગરિકોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
તો કલોલમાં વધતા કોલેરાના કેસને લઇને અમિત શાહે ટ્વિટ કરતા કહ્યું કે, ‘ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલ કલોલ નાં કેટલાક ભાગોમાં કોલેરા નાં કેસ સામે આવ્યાની જાણકારી મળી જે બાબતે જીલ્લા કલેકટર અને જીલ્લા સ્વાસ્થ્ય અધિકારી સાથે વાત કરી અને ત્વરિત એના ફેલાવાને રોકવા માટે તેમજ તેનાથી પ્રભાવિત લોકોને યોગ્ય સારવાર મળે તેના માટે સૂચનાઓ આપી.’
https://twitter.com/AmitShah/status/1413410410133291012?s=20
