કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત: પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે.
દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ 'રેસીડેન્સી કલા વર્કશોપ'માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત તા. 14 થી 23 એપ્રિલ દરમિયાન એક વિશેષ 'રેસીડેન્સી કલા વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ગોવા, લદાખ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કુલ 13 પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ પોતાની આગવી કલા, પરંપરા અને સંસ્કૃતિને ચિત્રોના માધ્યમથી કંડારી હતી.
આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાતમાંથી બે કલાકારોની પસંદગી થઈ હતી, જેમાં છોટાઉદેપુરના પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાનો સમાવેશ થાય છે. તેઓએ આ 10 દિવસીય વર્કશોપ દરમિયાન પીઠોરા આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા દર્શાવતું સુંદર ચિત્ર તૈયાર કર્યું હતું, જેની રાષ્ટ્રપતિ ભવનમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.વર્કશોપના સમાપન બાદ આજે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેશ રાઠવાને તેમની કલા પ્રત્યેના સમર્પણ અને સંસ્કૃતિના જતન બદલ સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.પદ્મશ્રી પરેશ રાઠવાની આ સિદ્ધિથી ગુજરાત સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અને કલા જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આયોજન દ્વારા આદિવાસી લોકકલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે.
