કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સુરતમાં કેન્સર હોસ્પિટલ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ શાહ સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં 'હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા'નું ઉદ્ઘાટન કરશે.
ગૃહમંત્રી અમિત શાહ શાહ બપોરે 1:30 વાગ્યે સુરત પહોંચશે અને ડુમસ રોડ પર નવનિર્મિત કેન્સર હોસ્પિટલ અને ધર્મશાળાનું ઉદ્ઘાટન કર્યા પછી જનતાને સંબોધિત કરશે. આ પછી તેઓ અમદાવાદ પાછા ફરશે અને સાંજે 4 વાગ્યે સાબરમતી અને ન્યુ રાણીપ વિસ્તારમાં બે અંડરપાસનું ઉદ્ઘાટન કરશે. રાણીપ વિસ્તારમાં ડ્રેનેજ અને જળ સંરક્ષણ સંબંધિત બે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. રાણીપના સરદાર ચોક ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કર્યા પછી શાહ જાહેર સભાને સંબોધિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થલતેજ વિસ્તારમાં રેલ્વે ઓવરબ્રિજ નીચે બનેલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. તેનું નિર્માણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. અમિત શાહ બુધવારે સાંજે બે દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ આજે 651 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે.
આજે શાહ સુરત અને અમદાવાદમાં આયોજિત કુલ આઠ કાર્યક્રમોમાં ભાગ લેશે. ભાજપના રાજ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેના જણાવ્યા અનુસાર, શાહ આજે સવારે 10.30 વાગ્યે અમદાવાદના મેમનગર સ્થિત ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આયોજિત મેળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેશ ભૈયાજી જોશી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.