ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય: કપાસની ટેકાના ભાવે ખરીદી માટે મંત્રી રાઘવજી પટેલે CCI સાથે બેઠક યોજી
Live TV
-
ગાંધીનગર: વિશ્વ કપાસ દિવસ નિમિત્તે, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) ના અધિકારીઓ સાથે કપાસની ટેકાના ભાવે ખરીદીના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.મંત્રીએ વર્તમાન બજારભાવની સ્થિતિ અને પુષ્કળ ઉત્પાદનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
મંત્રીએ દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા માટે CCIને સૂચન કર્યું હતું, જેથી વધુ ખેડૂતો સરળતાથી કપાસનું વેચાણ કરી શકે.હાલ કપાસના બજારભાવ ટેકાના ભાવ (રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલ) કરતાં રૂ. 800 થી રૂ. 1000 પ્રતિ ક્વિન્ટલ જેટલા ઓછા છે. તેથી, મહત્તમ ખેડૂતો નોંધણી કરાવે તે માટે રજિસ્ટ્રેશનની તારીખ (31 ઓક્ટોબર) લંબાવવા મંત્રીશ્રીએ ભલામણ કરી હતી.
કૃષિ મંત્રીએ ખેડૂતોના જમીન રેકોર્ડ અને જિલ્લાની ઉત્પાદકતાને ધ્યાનમાં રાખીને તેમનો તમામ ઉત્પાદિત કપાસનો જથ્થો ટેકાના ભાવે ખરીદવા પર ભાર મૂક્યો હતો.CCIના અધિકારીઓને APMC કેન્દ્રો ખાતે હરાજીમાં ઉભા રહીને નિયત ગુણવત્તાના ધારાધોરણ મુજબ કપાસની સીધી ખરીદી કરવા સૂચન કરાયું હતું.જે ખેડૂતોનું ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન ન થયું હોય, તેવા ખેડૂતો પાસેથી પણ ખરીદી કરી શકાય તે માટે જરૂરી અનુમતિ મેળવવા મંત્રીએ CCIને જણાવ્યું હતું.
ચાલુ વર્ષે રાજ્યમાં સારા વરસાદને કારણે કપાસનું પુષ્કળ વાવેતર અને ઉત્પાદન થવાની સંભાવના છે. ભારત સરકારે કપાસનો ટેકાનો ભાવ રૂ.8060 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1612 પ્રતિ મણ) જાહેર કર્યો છે.આ બેઠકમાં સાંસદ, ધારાસભ્ય અને ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી રાઘવજી પટેલે તમામ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.
