ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-2024’નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7મા રાષ્ટ્રીય પોષણ માહ-2024નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઈકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ‘સહી પોષણ-દેશ રોશન’ના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત@2047નો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવામાં પોષણ માહ મહત્વપૂર્ણ બનશે.
દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની આ પરંપરાની 7મી શ્રેણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.સાતમા તબક્કાના આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ, પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થવાની છે.
મુખ્યમંત્રી અને કેન્દ્રિય મહિલા બાળ કલ્યાણ મંત્રી તેમ જ ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરિયાએ આ અવસરે પ્રતિકરૂપે ભૂલકાંઓને અન્નપ્રાશન ટીપાં પીવડાવવા સાથે, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ, સગર્ભા અને ધાત્રી માતા તથા એડોલસન્ટ દીકરીને પોષણક્ષમ આહાર કીટ તેમ જ સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનને સહાય ચેકનું વિતરણ કર્યું હતું. રાજ્ય સરકારની નવી નારી ગૌરવ નીતિ-2024નું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસના મંત્રને રાષ્ટ્રહિત અભિયાનોમાં જનભાગીદારી જોડીને સાકાર કરવાની જે પ્રેરણા વડાપ્રધાનશ્રીએ આપી છે, તેના ફળસ્વરૂપે પોષણ માહ હવે કુપોષણ સામેની લડાઈનું જનઆંદોલન બની ગયું છે. તેમણે ગુજરાતમાં માતાઓ, સગર્ભા બહેનો, એડોલસન્ટ દીકરીઓ અને બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણની બાબતમાં સંકલિત અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે, તેની વિશદ ભૂમિકા પણ આપી હતી.
મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, બાળકોનું અને ખાસ કરીને આદિજાતિ વિસ્તારોના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં અંદાજે 13 લાખથી વધુ બાળકોને પાશ્ચ્યુરાઈઝ્ડ ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે. એટલું જ નહીં, ટેક હોમ રાશન, પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા વધારાનું પ્રોટિન તથા પૂરક પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. આવી સર્વગ્રાહી પોષણ યોજનાઓના સકારાત્મક પરિણામો રાજ્યમાં જોવા મળ્યા છે અને અત્યાર સુધીમાં 45 લાખ લાભાર્થીઓને યોજનાકીય લાભ મળ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની બધી જ 53 હજાર આંગણવાડીઓમાં આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, વૃક્ષઉછેર અને જતન તથા માવજતનો આયામ સરકારે અપનાવ્યો છે, તેનો પણ તેમણે ગૌરવસહ ઉલ્લેખ કર્યો હતો.
