ગાંધીનગર : મુખ્ય સચિવ રાજકુમારે આજોલ શાળામાં બાળકોનું નામાંકન કરાવી શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
રાજ્યભરમાં ચાલી રહેલા ત્રિવસીય શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ-2024ના આજે બીજા દિવસે મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની આજોલ ગામની સંસ્કાર તીર્થ કેળવણી મંડળ સંચાલિત આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં પ્રથમવાર દીકરા- દીકરીઓ ઉપરાંત માધ્યમિક શાળામાં ધોરણ-9માં વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાવીને શૈક્ષણિક કારકિર્દીનો ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્ય સચિવ રાજકુમારે બાળકોને શૈક્ષણિક કારકિર્દી અંગે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, શિક્ષણ એ જ્ઞાનની જ્યોત છે. તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની શાળાઓમાં 100 ટકા નામાંકન કરાવવાના ઉમદા હેતુથી વર્ષ-2003માં પ્રથમવાર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં 100ટકા નામાંકન કરાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ.
મુખ્ય સચિવ કહ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં સેમિકંડક્ટર, ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, ઉડ્ડયન, ઓટોમોબાઇલ, ઊર્જા વગેરે ક્ષેત્રોમાં કરોડોનું રોકાણ આવ્યું છે. આ તમામ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે, તેના માટે વિવિધ વોકેશનલ કક્ષાનું શિક્ષણ જરૂરી છે.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને મુખ્ય સચિવે શાળામાં રમતની સાથે સાથે મહાપુરૂષોના જીવન ચરિત્ર્ય વાંચવાનો અને તેને અનુસરવાનો શોખ કેળવવા પ્રેરણા આપી હતી.
મુખ્ય સચિવ રાજકુમારે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન માટે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણના દિવસે આપેલા ‘એક વૃક્ષ માતાના નામે’ અભિયાનને ઘર ઘર સુધી લઈ જવા બાળકો-શિક્ષકો અને ગામજનોને અનુરોધ કર્યો હતો.
