ગુજરાતના 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમમાં 55% જળ સંગ્રહ
Live TV
-
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,83,724 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં 15 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51,786 ક્યુસેક, ઉકાઈમાં 31,206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23,565 ક્યુસેક, વેણુ-2માં 18,906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18,468 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16,024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15,256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13,419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે.
આ ઉપરાંત સરદાર સરોવર સહિત 17 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 50 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 42.55 ટકા, મધ્ય ગુજરાતના 17માં 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
