ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી શરૂ,ખેડૂતોમાં ખુશીનો માહોલ
Live TV
-
રાજ્યભરમાં રજિસ્ટર્ડ ખેડૂતોની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી શરૂ થતાં ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળવાની આશા બંધાઈ છે.
સરકારના નિયમ મુજબ, જે ખેડૂતોને SMS મળ્યા છે, તે જ ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર પોતાની મગફળી વેચવાની મંજૂરી આપવામાં આવી છે. SMS મળતાં જ સવારે ખેડૂતો પોતાની મગફળીના થેલાં લઈને ખરીદ કેન્દ્રો પર પહોંચી ગયા હતા. અનેક કેન્દ્રો પર ખેડૂતોની લાઇનો જોવામાં આવી રહી છે, પરંતુ વ્યવસ્થા સુનિશ્ચિત રહે તે માટે તંત્રે યોગ્ય આયોજન કર્યું છે.
ખરીદી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. બધા ખરીદ કેન્દ્રો પર CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આથી ખરીદીમાં કોઈ પણ પ્રકારની ગડબડ કે ગેરવહીવટ ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે. સાથે જ તોળણી અને ગુણવત્તા તપાસની પ્રક્રિયાને પણ કડક રીતે અનુસરવામાં આવી રહી છે જેથી ખેડૂતોને તેમનાs પાકની યોગ્ય કિંમત મળી શકે.
ગુજરાતભરમાં 9.30 લાખથી વધુ ખેડૂતો
અત્યાર સુધીમાં ગુજરાતભરમાં 9.30 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે. આ સંખ્યા બતાવે છે કે ખેડૂતોમાં સરકારની ખરીદી યોજનાને લઈને કેટલો ઉત્સાહ છે. રાજકોટ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ આવનારા દિવસોમાં ખરીદીની પ્રક્રિયા શરૂ થવાની છે.
