ગુજરાતમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સને વેગ: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે હવે ભાવનગર સુધી લંબાશે
Live TV
-
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યના વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં મહત્વની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48, મોરબી-સામખિયાળી, રાજકોટ-ગોંડલ-જેતપુર, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે અને પાલનપુર-સામખિયાળી કોરિડોર જેવા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ગુજરાતે અપનાવેલા 'બિનખેતી મંજૂરી 60 દિવસ માટે સ્થગિત કરવાના' મોડલના ગડકરીએ વિશેષ વખાણ કર્યા હતા અને તેને સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ ગણાવ્યું હતું. વધુમાં, પર્યાવરણપ્રિય વિકાસના અભિગમ સાથે હાઈવેના નિર્માણ દરમિયાન આવતા વૃક્ષોનું અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને NHAIના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
