ગુજરાતમાં 21 જૂને સરહદી ગામ નડાબેટમાં ઉજવાશે યોગ દિવસ, 312 મુખ્ય સ્થળોએ પણ કરાશે ઉજવણી
Live TV
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાતમાં બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોગ દિવસની ઉજવણી કરાશે. રાજ્ય સરકાર અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ સંદર્ભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી આયોજનને આખરી ઓપ આપ્યો હતો.
દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 21મી જૂને ગુજરાતમાં પણ ઉજવણી કરાશે. સીમાદર્શન માટે પ્રસિદ્ધ સરહદી ગામ નડાબેટ ખાતે તેની ભવ્ય ઉજવણી કરાશે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. યોગ દિવસ સંદર્ભમાં ગાંધીનગર ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી ઉજવાઈ રહેલા યોગ દિવસના કાર્યક્રમના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. આયોજન સંદર્ભે બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયુ હતુ.
21મી જૂને સવા કરોડ લોકો યોગ દિવસમાં ભાગ લેશે
ગુજરાતમાં યોગ દિવસ ઉજવણી દરમિયાન 21મી જૂને સવારે 7 વાગ્યાથી 7-45 સુધી એકસાથે સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. આ વખતે 2024નો યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ વિષયવસ્તુ સાથે યોજાશે.
મંત્રીઓ રાજ્યના વિવિધ સ્થળે યોગ દિવસમાં આપશે હાજરી
યોગ દિવસ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી નડાબેટ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. અન્ય મંત્રીઓ રાજ્યમાં વિવિધ સ્થળે કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યમાં કુલ 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે.
પીએમના સંબોધનનું રાજ્યભરમાં કરાશે જીવંત પ્રસારણ
યોગ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંબોધન કરશે. બંનેના સંબોધનનું રાજ્યભરમાં જીવંત પ્રસારણ પણ કરાશે.
