ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર દ્વારા તરંગ મેળા 2024ની પ્રથમ આવૃત્તિ- 'એકત્રીકરણની ઉજવણી'નું ઉદ્ઘાટન
Live TV
-
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં નાબાર્ડ, ONDC (Open Network for Digital Commerce) અને SFAC (Small Farmers Agri Business Consortium)ના સંયુક્ત ઉપક્રમે ઉત્પાદક સંગઠનો(FPO) માટે મેળા-કમ-પ્રદર્શન ધરાવતા તરંગ મેળાનું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તરંગ મેળા 2024ની પ્રથમ આવૃત્તિની થીમ એકત્રીકરણની ઉજવણી છે.
તરંગ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે કહ્યું હતું કે, આ તરંગ મેળામાં કાશ્મીરથી કેરળ સુધીના ખેડૂતો, કારીગરો અને વણકરો એક જ જગ્યાએ એકઠા થયા છે. આ તરંગ મેળામાં ઉપલબ્ધ વસ્તુઓ બજારભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવમાં મળે છે. વધુમાં, તરંગ મેળામાં મળતી બધી જ વસ્તુઓ ખૂબ જ સારી ગુણવત્તાની હોય છે. તરંગ મેળાથી અમદાવાદ અને ગુજરાતના લોકોને તો ફાયદો છે જ, દેશભરમાં આયોજિત થતા આવા અનેક તરંગ
મેળાથી દેશના ખેડૂતો, કારીગરો અને ખરીદી કરનાર ગ્રાહકોને પણ ખૂબ જ મોટો ફાયદો છે. સાથે અર્થવ્યવસ્થામાં ઉત્પાદકો અને ઉપભોક્તાઓને પણ ફાયદો થાય છે, નાબાર્ડ દ્વારા દેશના વિવિધ ઉત્પાદકોને બજાર પૂરું પાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરતો તરંગ મેળો ખૂબ જ સરાહનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. CGM અને બેંકિંગ ઓમ્બડ્સમેન, RBI, અમદાવાદ એસ.કે. ગુપ્તાએ તેમના સંબોધનમાં તરંગ 2024ના સ્ટોલ પર પ્રદર્શિત ઉત્પાદનોની પ્રશંસા કરી હતી. આ પ્લેટફોર્મ દ્વારા ગ્રામીણ ભારતની સમૃદ્ધિ અને વિવિધતાને એકસાથે લાવવામાં નાબાર્ડ, SFAC અને ONDCના યોગદાનની પણ તેમણે પ્રશંસા કરી હતી. તેમણે તરંગ મેળાને સામૂહિકીકરણની ભાવનાની સાચી ઉજવણી તરીકે વર્ણવ્યું હતું.
આજના ડિજિટલ માર્કેટિંગ અને ઈ-કોમર્સના યુગમાં, ભાગ લેનારા ખેડૂતો અને કારીગરોની બેંકિંગ અને ડિજિટલ જાગૃતિ વિશે પણ તેમણે વાત કરી હતી. CGM, નાબાર્ડ ગુજરાત ક્ષેત્રીય કાર્યાલયના બી.કે. સિંઘલ દ્વારા તરંગ 2024માં ભાગ લેનાર ઉત્પાદક સંગઠનોને પ્રોત્સાહિત કરવા બદલ મહાનુભાવોનો આભાર માન્યો હતો.
ગુજરાત સહિત ભારતના 19 આવેલા સહભાગીઓ દ્વારા તરંગ મેળામાં 90 સ્ટોલમાંથી 37 સ્ટોલ કારીગરી અથવા બિન ખેતીક્ષેત્રના ઉત્પાદનો સાથે સંબંધિત છે, 40 સ્ટોલ નાબાર્ડ સાથે સંબંધિત છે, 5 સ્ટોલ બાજરી અથવા -અન્ન આધારિત ઉત્પાદનોને લગતા છે. તા. 23 થી 27 ફેબ્રુઆરી સુધી આ તરંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમદાવાદ નાબાર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતના વિવિધ ભાગોમાંથી પધારેલા ઉત્પાદન સંગઠનો, વેચાણકર્તાઓ અને ખરીદદારો હાજર રહ્યા હતા.