ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા અધ્યક્ષે પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
ભારતના સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમમાં સ્થિત તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિધાનસભાના અધ્યક્ષે સૌને સ્વ. તૈયબજીનો પરિચય આપતા જણાવ્યું હતું કે, સ્વ. તૈયબજીનો જન્મ તા.1લી ફેબ્રુઆરી 1854ના રોજ વડોદરા ખાતે થયો હતો. વડોદરામાં અભ્યાસ પૂર્ણ કરીને લંડન જઇને તેઓ બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં ન્યાયાધીશ અને ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.
ગાંધીજીથી ખૂબ પ્રભાવિત થઈને તેઓ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. તેઓ ગાંધીજીના ખૂબ જ વફાદાર વ્યક્તિ હતા. તૈયબજી દેશની સ્વતંત્રતા માટેના અનેક આંદોલનોમાં આગેવાની પણ સંભાળી હતી. દેશની આઝાદી માટે તેમણે પોતાનું બધું જ સમર્પિત કર્યું એ જ દેશ ભક્તિ આપણે સૌએ તેમની પાસેથી શીખવાની છે, તેમ અધ્યક્ષે ઉમેર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરા પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના સચિવ સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ તેમજ એરફોર્સ સ્કૂલ-ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતા.
