ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાની મોટી કાર્યવાહી :સરકારી ચોખાના 20,000 કિલોના જથ્થા સહિત રૂ. 30 લાખનો મુદ્દામાલ જપ્ત
Live TV
-
જપ્ત કરાયેલા સરકારી ફોર્ટિફાઇડ ચોખાની અંદાજિત કિંમત રૂ. 10,00000/- તથા ટ્રકની અંદાજિત બજાર કિંમત રૂ. 20,00000/- મળી કુલ રૂ. 30,00000/-નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.
સરકારી અનાજની કાળાબજારી કરતા તત્વો પર તવાઈ બોલાવતા ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણાએ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પાંચવડા ગામ નજીકથી પસાર થતા એક ટ્રકમાંથી ૨૦,૦૦૦ કિલો સરકારી ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો ઝડપાઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
તા. ૧૮/૦૭/૨૦૨૬ના રોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણા અને તેમની ટીમ સાથે ચોટીલા –જસદણ નેશનલ હાઇવે 351 G પર પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન પાંચવડા ગામની નજીકથી અશોક લેલન ટ્રક નં. GJ-03-CW-9271 શંકાસ્પદ જણાતા તેને રોકી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રક માં ભરેલ ફોર્ટિફાઇડ ચોખા ના કટ્ટામાં બમ્બી મારીને તપાસ કરતા ટ્રકમાંથી સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઇડ ચોખાના કુલ 450 કટ્ટા ભરેલા હતા એટલે કે અંદાજે 20,000 (વીસ હજાર )કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રાઇવર દ્વારા લખાવેલ નિવેદન મુજબ આ સરકારી ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો વીછીયા તાલુકાના જુદા જુદા ગામો માંથી પિક અ૫ વાહન દ્વારા એકઠો કરી આઇસરમાં ભરવામાં આવેલ હતો અને વધુ નફો કમાવવાના આશયથી ગાંધીધામ ખાતે ઊંચા બજાર ભાવે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૃત્ય જાહેર વિતરણ પ્રણાલીને નુકસાન પહોંચાડે તેવું તેમજ ગરીબ અને પાત્ર લાભાર્થીઓના હક્કના અનાજની ગેરકાયદેસર સગેવગે સમાન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું છે.
તપાસ દરમિયાન જપ્ત કરાયેલા સરકારી ફોર્ટિફાઇડ ચોખાની અંદાજિત કિંમત રૂ. 10,00000/- તથા ટ્રકની અંદાજિત બજાર કિંમત રૂ. 20,00000/- મળી કુલ રૂ. 30,00000/-નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર કૌભાંડનું સંચાલન સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ઘાંઘલ (રહે. ધારૈઈ, તા. ચોટીલા) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટ્રક માલિક/ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલીયા (રહે. જસદણ) હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ તમામ વ્યક્તિઓ સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ અને જાહેર વિતરણ પ્રણાલીના કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓએ સરકારી ફોર્ટિફાઇડ ચોખાની ગેરકાયદેસર હેરફેર કરી તેને ઊંચા બજાર ભાવે વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા તેમની સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, જાહેર વિતરણ પ્રણાલીને લગતા પ્ નિયમો તેમજ અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમાનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિ, FPS ધારક અથવા મધ્યસ્થી સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા અનાજની ગેરકાયદેસર સગેવગે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિ આચરનાર તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા કૃત્યોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાની પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં.
