જામનગરના ચાંદીપુરા વાયરસના બંને શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ
Live TV
-
જામનગર શહેરમાં રાહતનો શ્વાસ, ગણપતનગરમાં 400 અને રવિપાર્કમાં 144 ઘરોનો સર્વે; અન્ય કોઈ શંકાસ્પદ કે બીમારીનો કેસ નોંધાયો નહીં.
જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસને લઈને શંકાસ્પદ તરીકે નોંધાયેલા બે બાળકોના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય તંત્ર સહિત શહેરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો.... ગણપતનગર અને રવિપાર્ક વિસ્તારમાંથી મળેલા બંને શંકાસ્પદ બાળકોના સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ નેગેટિવ હોવાનું સ્પષ્ટ થયું છે.
ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસની શંકાને પગલે ત્રણ બાળકોને શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખાસ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં એક બાળકનું શનિવારે રાત્રે દુઃખદ અવસાન થયું હતું, જ્યારે અન્ય બે બાળકો હાલ સારવાર હેઠળ છે. તેમાંથી એક બાળક વેન્ટિલેટર પર છે અને તબીબોની ટીમ તેની સઘન સારવાર કરી રહી છે.
બીજી તરફ સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને નિવારક કામગીરી હાથ ધરી.... ગણપતનગર વિસ્તારમાં આશરે 400 ઘરોમાં તેમજ રવિપાર્ક વિસ્તારમાં 142 ઘરોમાં આરોગ્ય સર્વે કરવામાં આવ્યો હતો.... આ દરમિયાન દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માખીજન્ય સંક્રમણ પર નિયંત્રણ માટે જરૂરી દવાઓનો છંટકાવ સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી... આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન અત્યાર સુધી ચાંદીપુરા વાયરસનો અન્ય કોઈ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી.... ઉપરાંત અન્ય કોઈ ચેપી બીમારીના કેસ પણ નોંધાયા નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, જનજાગૃતિ અને નિવારક કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
