જામનગરના મોરકંડામાં કૃષિમંત્રી રાઘવજીપટેલે 1.10 કરોડ રૂ. ના ખર્ચે બનેલા પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું
Live TV
-
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ખાતે રૂ.1.10 કરોડના ખર્ચે નિર્મિત થનાર અદ્યતન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પશુ સારવારની સુવિધાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ આપણા મહામૂલા પશુધનની કાળજી લેવા માટે તેઓએ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં પશુ આરોગ્ય મેળા, પશુ દવાખાના, પશુ આર્થિક સહાય અને એનિમલ એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા એક હજાર નવા પશુ દવાખાના સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે, જામનગર જિલ્લામાં પણ ચાલુ વર્ષે નવા 16 પશુ દવાખાનાઓનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. મંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે પશુપાલન એ માત્ર કૃષિનો સહાયક વ્યવસાય નથી, પરંતુ તે ખેડૂતોને નવી અને નિયમિત આવક પૂરી પાડીને આર્થિક રીતે સમૃદ્ધ થવામાં મદદરૂપ બને છે.તેમણે સેક્સ્ડ સિમેન ટેકનોલોજી અને દૂધ મંડળીઓ જેવી પશુપાલન સંબંધિત અગત્યની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી ગ્રામજનોને તેનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અગ્રણી વિનુભાઈ ભંડેરી, ગિરિરાજસિંહ જાડેજા, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લ, સરપંચ ભનુભાઈ ચૌહાણ, ભરતભાઇ સોનાગરા, પ્રવીણભાઈ કટેશિયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
