ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની 135મી જન્મજયંતિ, ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ
Live TV
-
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની 135મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ મંત્રી દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ.રાધાકૃષ્ણનના મહાન પ્રદાન માટે તેમને ભારત રત્ન તેમજ અન્ય અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ એક મહાન તત્તવચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. મદ્રાસ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યા બાદ દેશની અનેક યુનિવર્સિટીઓમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર અને છેવટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા. તેઓ ઓક્સફર્ડ તેમજ શિકાગોની ખ્યાતનામ યુનિવર્સિટીઓમાં પણ ભારતીય દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા.
તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, નાયબ દંડક વિજયભાઈ પટેલ, રમણભાઈ સોલંકી તથા વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.