ત્રિફળા – કુદરતી રીતે વજન નિયંત્રણનો અસરકારક ઉપાય
Live TV
-
વર્તમાન સમયમાં મેદસ્વિતા માત્ર દેખાવ સાથે જોડાયેલી સમસ્યા નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ તથા અન્ય અસંચારી રોગોનું મુખ્ય કારણ બની રહી છે. મેદસ્વિતા શરીર માટે એક ગંભીર આરોગ્ય સમસ્યા પણ છે.
અનિયમિત આહાર, સરળ જીવન અને શારીરિક શ્રમના અભાવે શરીરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે. જેના નિવારણ માટે આયુર્વેદમાં ઉત્તમ ઔષધિરૂપ મનાતું “ત્રિફળા”. ત્રિફળા એટલે હરડે, બહેડા અને આમળા એમ ત્રણ ફળોનું સંયોજન. “ત્રિફળા”નો ઉલ્લેખ ભારતીય પ્રાચીન આયુર્વેદિક ગ્રંથ "ચરકસંહિતા" અને "સુશ્રુતસંહિતા"માં કરવામાં આવેલો છે. આયુર્વેદ મુજબ ત્રિફળામાં રહેલા હરડે, બહેડા અને આમળાનાં ફળોના ગુણોથી ત્રણ અલગ અલગ રોગ હરડેથી વાત, બહેડાથી કફ અને આમળાથી પિતનું નિવારણ પણ કરી શકાય છે. જે શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે. સાથોસાથ મેદસ્વિતા નિવારવા પણ મદદરૂપ છે.
હરડે, બહેડા અને આમળાના સંયોજનથી બનેલું ત્રિફળા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી શરીરને સ્વસ્થ બનાવે છે. ત્રિફળાના ઉકાળામાં બે ચમચી મધ ભેળવીને સવાર અને સાંજ પીવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. આ પીણું પાચનક્રિયાને સુધારે છે, મેટાબોલિઝમને સક્રિય બનાવે છે. નિયમિત સેવનથી ભૂખનું સંતુલન જળવાઈ રહે છે તથા કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જે વજન નિયંત્રણ માટે મહત્વપૂર્ણ પરિબળ છે.
ત્રિફળાની વિશેષતા એ છે કે તે માત્ર મેદસ્વિતા ઘટાડવા પૂરતું મર્યાદિત નથી. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, શરીરના આંતરિક તથા બાહ્ય રીતે સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં અને સમગ્ર શરીરના આરોગ્યને સુધારવામાં મદદરૂપ બને છે. આયુર્વેદમાં તેને શરીર અને મન બંનેના સંતુલન માટે ઉપયોગી ઔષધિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. વજન નિયંત્રણનો સંપૂર્ણ વિકલ્પ સંતુલિત આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, પૂરતી ઊંઘ અને સકારાત્મક જીવનશૈલી સાથે ત્રિફળાનું સંયમિત સેવન કરવામાં આવે તો તેના લાભો વધુ અસરકારક રીતે પ્રાપ્ત થઈ શકે છે. પ્રાચીન આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક આરોગ્ય જાગૃતિના સમન્વયરૂપ ત્રિફળા આજે પણ સ્વસ્થ અને સક્રિય જીવન બનાવતું એક અમૂલ્ય વરદાન છે.
