દાહોદ જિલ્લામાં સખી મંડળ હેઠળ શરુ કરાયેલ પ્રથમ આલ્કાલાઈન RO પ્લાન્ટ
Live TV
-
રમીલાબેનનું જીવન ગંભીર આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. પરિવારનું ગુજરાન ચલાવવું એ તેમના માટે રોજિંદો સંગ્રામ હતો.
સંઘર્ષથી સફળતાની ઉડાન ઉત્તર ઉદાહરણ દાહોદના ગરબાડા તાલુકામાં જોવા મળ્યું... સ્વ સહાય સખી મંડળમાંથી આવક મેળવી પોતાનો RO પ્લાન્ટ શરૂ કરનાર રમીલાબેનની 'મંગલમ સખી નીર'ની પ્રેરણાદાયક ગાથા છે... તેમણે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ. 3.79 લાખની સહાય મળી... આ જૂથ સહાય હેઠળ રમીલાબેનને રૂ. 1 લાખ તેમજ બેન્કિંગ સહાય રૂપે રૂ. 1 લાખની લોન મળી હતી...
રમીલાબેનની પ્રેરણાદાયક ગાથા
એક સમય એવો હતો જ્યારે રમીલાબેનનું જીવન ગંભીર આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. પરિવારનું ગુજરાન ચલાવવું એ તેમના માટે રોજિંદો સંગ્રામ હતો. આવકના મર્યાદિત સાધનો અને આર્થિક અસ્થિરતાને કારણે ઘરની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં પણ ભારે તકલીફ પડતી હતી. નિરાશાના આ માહોલમાં ભવિષ્ય ધૂંધળું દેખાતું હતું, પરંતુ તેમના મનમાં પરિસ્થિતિને બદલવાની એક મૂક તડપ હંમેશા જીવંત હતી. આ કપરા સમયમાં સ્વ-સહાય જૂથ (સખી મંડળ) તેમના માટે અંધકારમાં પ્રકાશનું કિરણ બનીને આવ્યું. મંડળમાં જોડાયા પછી રમીલાબેનના જીવનમાં ધીમે-ધીમે પણ મક્કમ હકારાત્મક પરિવર્તનો આવવા લાગ્યા.
મંડળમાંથી મળેલા માર્ગદર્શન અને આત્મવિશ્વાસના બળે રમીલાબેને માત્ર રોજગારી પૂરતું સીમિત ન રહેતા, કંઈક મોટું અને વ્યવસાયિક કરવાનું વિચાર્યું. પોતાના વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની જરૂરિયાતને સમજીને તેમણે RO પ્લાન્ટ શરૂ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો અને આ સ્વપ્નને નામ મળ્યું - 'મંગલમ સખી નીર'. આ એક એવું કદમ હતું કે, જેણે તેમને એક સામાન્ય ગૃહિણીમાંથી ઉદ્યોગ સાહસિક બનાવી દીધા. દાહોદ જિલ્લામાં સખી મંડળ હેઠળ શરુ કરાયેલ પ્રથમ આલ્કાલાઈન RO પ્લાન્ટ એટલે 'મંગલમ સખી નીર'
આલ્કાલાઈન પાણી વિશે કહીએ તો, એ એવું પાણી છે જેમાં pH સામાન્ય પીવાના પાણી કરતાં વધારે હોય છે. સામાન્ય પાણીનું pH લગભગ ૭ હોય છે, જ્યારે આલ્કાલાઈન પાણીનું pH લગભગ ૮ થી ૯.૫ સુધી હોઈ શકે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો વધુ હોઈ શકે છે. જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
સરકારની મજબૂત સહાય
આટલો મોટો પ્રોજેક્ટ અને સ્વપ્ન એક સામાન્ય મહિલા માટે યોગ્ય સહકાર વિના સાકાર કરવું અશક્ય હતું. આ સમયે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અને સરકારી યોજનાઓ રમીલાબેન માટે એક વટવૃક્ષનો છાંયો બની. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી આર્થિક સહાય, સબસિડી અને માર્ગદર્શને આ RO પ્લાન્ટ શરૂ કરવામાં મુખ્ય અને નિર્ણાયક ભૂમિકા ભજવી. પાયાની સુવિધાઓ ઉભી કરવાથી લઈને વ્યવસાયિક માળખું ગોઠવવા સુધીમાં સરકારનો સાથ મળ્યો.
ગરબાડા તાલુકામાં આવેલ બોરીયાલા ખાતે શ્રીજી સ્વ સહાય મહિલા મંડળ હેઠળ 10 બહેનો કાર્યરત છે. સખી મંડળનું સમગ્ર સંચાલન ભુરીયા રમીલાબેન કરે છે. તેઓને સખી મંડળમાં જોડાયાને 10 વર્ષ થઇ ગયા છે. જયારે તેમણે માર્ચ 2026માં RO પ્લાન્ટની શરૂઆત કરી. જૂથ સહાય હેઠળ રમીલાબેનને રૂ. 1 લાખ મળ્યા તેમજ બેન્કિંગ સહાય રૂપે રૂ. 1 લાખની લોન મળી હતી.
વન બંધુ કલ્યાણ યોજના હેઠળ આ યોજના અંતર્ગત તેમને રૂ. 3.79 લાખની સહાય મળી. રમીલાબેને આજ સુધીમાં લગભગ અંદાજે રૂ. 4.50 લાખનું રોકાણ કર્યું, જે તેમની સફળતાની ચાડી ખાય છે. આ તમામ આર્થિક સંસાધનો અને લોનની મદદથી રમીલાબેને RO પ્લાન્ટ, પાણીના વહન માટે એક મીની ટેમ્પો અને અન્ય જરૂરી સંસાધનોની ખરીદી કરી વ્યવસાય સાકાર કર્યો. શ્રીજી સહાય સખી મંડળના જ એક બહેન જાદવ હસુમતીબેન કે જેઓ પોતાનો સખી મંડળ તેમજ રમીલાબેને શરુ કરેલ RO પ્લાન્ટ વિશેનો અનુભવ વર્ણવતા કહે છે કે, અમે છેલ્લાં 15 વર્ષથી આ સખી મંડળ સાથે જોડાયેલા છીએ. હાલ હું રમીલાબેને શરૂ કરેલ RO પ્લાન્ટમાં કામ કરી આર્થિક રીતે મારા પરિવારને મદદરૂપ થાઉં છું.
