પોળો ફોરેસ્ટનું સૌંદર્ય ખીલ્યું, પણ ઐતિહાસિક જૈન મંદિર બંધ રહેતા પ્રવાસીઓમાં નિરાશા
Live TV
-
પોળો ફોરેસ્ટનું સૌંદર્ય ખીલ્યું, પણ ઐતિહાસિક જૈન મંદિર બંધ રહેતા પ્રવાસીઓમાં નિરાશા
ઉત્તર ગુજરાતના "મીની કાશ્મીર" તરીકે ઓળખાતા પોળો ફોરેસ્ટમાં પ્રથમ વરસાદી માહોલના પગલે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ઠેર ઠેર નાના-મોટા ઝરણાં અને સતત વહેતા જળપ્રવાહોથી સમગ્ર વિસ્તાર આહ્લાદક બની ચૂક્યો છે, જેના કારણે સાબરકાંઠા સહિત અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને પાટણના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને હાલના તબક્કે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરતા સૌંદર્યની મજા માણવા આવતા લોકોનો ધસારો વધી રહ્યો છે.
જોકે, આ કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પોળો ફોરેસ્ટમાં આવેલું પ્રખ્યાત જૈન તીર્થધામનું મંદિર છેલ્લા ચાર વર્ષથી બંધ રહેવાના કારણે પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 12મી સદીના શ્રેષ્ઠ કલા સ્થાપત્ય ગણાતા આ મંદિરનું સમારકામ ત્રણ વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગયું હોવા છતાં, આજદિન સુધી તેના દરવાજા ખુલ્યા નથી.
સ્થાનિક ધંધા-રોજગાર પર વ્યાપક અસર:
મંદિર બંધ રહેવાના કારણે પ્રવાસીઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે, જેની સીધી અસર સ્થાનિક ધંધા-રોજગાર પર પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પોળો ફોરેસ્ટના વિકાસ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેના પગલે સ્થાનિક લોકોએ પણ નાના-મોટા ધંધા શરૂ કર્યા હતા. પરંતુ હવે પ્રવાસીઓ ઘટતા તેમની આવક પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. વધતી જતી મોંઘવારી સામે રોજીંદી આવક ન મળવાના કારણે સ્થાનિકો પણ નિરાશ થઈ રહ્યા છે.
