પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ આગેવાનોએ સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની શહીદ દીન નિમિત્તે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો-આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરીને નમન કર્યા હતા અને તેમના કાર્યોને યાદ કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં પણ, મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખાસ કરીને મહિલા કોંગ્રેસની બહેનોએ રક્તદાન કરીને સેવા કાર્યમાં જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, આ સરદાર સાહેબના પથ ઉપર તેમના વિચારોથી એમના સિધ્ધાંતોને લઈને ચાલવા વાળો કોંગ્રેસનો કાર્યકર છે જે સંઘર્ષ કરીને દેશની એકતા અખંડિતતા માટે કામ કરતો રહેશે. ખુબ અફવાઓ અને ખોટો પ્રચાર કરવામાં આવ્યો. કોંગ્રેસની ગુજરાતની વાત કરીએ કે ગુજરાતની જેટલી જાહેર સંસ્થાઓ છે જેટલા જાહેર કાર્યો છે એ મોટા ભાગની જાહેર સંસ્થાઓ અને કાર્યો સાથે સરદાર સાહેબનું નામ જોડવાનું કામ એક માત્ર કોંગ્રેસ પક્ષે કર્યું છે. સરદાર સરોવર ડેમ હોય, અમદાવાદનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય કે આપણુ વિધાનસભાનું સચિવાલય, કે પાલડીનો બ્રિજ હોય, અમદાવાદનુ પહેલુ કોર્પોરેશન ભવન, સ્પીપા હોય કે એવા અનેક કાર્યો આપણે ગણાવી શકીએ કે જે કોંગ્રેસના શાસનકાળમાં ખુબ ઉપયોગી કાર્યો-સંસ્થાઓ બની. કોંગ્રેસ પાર્ટી અને સરદાર સાહેબ બન્ને એક પરિવારનો ભાગ છે. સ્વ. ઈન્દિરાજીનું નેતૃત્વ કે જેમણે ખાલી સત્તા માટે નહીં પણ પ્રજા માટે શાસન કર્યું. ગરીબી હટાવોની વાત હોય, બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાની વાત હોય કે પાકિસ્તાનના બે ટુકડા કરવાની વાત હોય એમના શાસનકાળમાં જે જે નિર્ણયો થયા, જે-જે કાયદા - કાનુન બન્યા એના કારણે આજે પણ દેશ અને વિશ્વ એમને યાદ કરે છે. એટલુ જ નહી પણ આજના સમયના પરિપેક્ષમાં જોઈએ જેમ ઈન્દિરાજીએ રજવાડાઓના સાલીયાણાઓ બંધ કર્યા અને એ જે રકમો હતી તે સરકારી ખજાનામાં ગરીબો માટે ખુલ્લો મુક્યો.
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરીને બંન્ને મહાનુભાવના રાષ્ટ્રિય યોગદાનને યાદ કર્યુ હતુ.
