પ્રધાનમંત્રીએ અંબાજીમાં રૂ.7,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 45,000થી વધારે આવાસોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અંબાજીમાં રૂ.7,200 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 45,000થી વધારે આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તારંગા હિલ- અંબાજી- આબુ રોડ ન્યૂ બ્રોડ ગેજ લાઇન અને પ્રસાદ યોજના અંતર્ગત અંબાજી મંદિરમાં યાત્રાધામ સુવિધાઓ વિકસાવવાનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન ફ્રેટ ડેડિકેટેડ કૉરિડોરનાં 62 કિલોમીટર લાંબા નવા પાલનપુર-નવા મહેસાણા સેક્શન અને 13 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવા પાલનપુર-નવા ચટોદર સેક્શન (પાલનપુર બાયપાસ લાઇન)નું લોકાર્પણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મીઠા - થરાદ - ડીસા રોડને પહોળો કરવા સહિત વિવિધ માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વિવિધ આવાસ યોજનાઓના સાત લાભાર્થીઓને ચાવી સોંપી હતી અને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ગૌશાળાઓને ચેક અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ વીડિયો લિન્ક મારફતે કેટલાક આવાસ લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નવરાત્રીના પાંચમા દિવસે મા અંબાનાં દર્શનની તક મળવાં બદલ ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ એવી ટકોર કરી હતી કે, તેઓ અંબાજીમાં એવા સમયે આવ્યા છે, જ્યારે દેશે વિકસિત ભારતનો મહાન સંકલ્પ લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, "મા અંબાનાં આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પો પૂર્ણ કરવાની શક્તિ મળશે."
પ્રધાનમંત્રીએ આવાસ યોજનાઓના 61,000 લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નોંધ્યું હતું કે, વધુ સારી દિવાળી તેમની રાહ જોઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભારતમાં મહિલાઓ માટે સન્માનની સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું, "જ્યારે આપણે મહિલાઓ માટે આદરની વાત કરીએ છીએ, ત્યારે તે આપણા માટે સ્વાભાવિક રીતે આવે છે. પરંતુ જ્યારે આપણે તેના વિશે ગંભીરતાથી વિચારીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે મહિલાઓ માટે કેટલું સન્માન આપણા સંસ્કારમાં જડિત છે." તેમણે કહ્યું હતું કે, અન્ય દેશોથી વિપરિત, શક્તિ આપણી સંસ્કૃતિમાં નારી જાતિ સાથે સંકળાયેલી છે અને બહાદુર યોદ્ધાઓ સાથે માતાનું નામ જોડવાની પરંપરા છે.
આ તહેવારોની મોસમમાં, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશમાં 80 કરોડથી વધુ લોકોને રાહત આપતી મફત રાશન યોજનાને લંબાવવા પાછળ આશરે રૂ.4 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોની બહેનો અને માતાઓને મુશ્કેલ સમયમાં રસોડું ચલાવવામાં કોઈ સમસ્યા ન આવે તે માટે આ યોજનાને લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે, તેમને છેલ્લા બે દાયકાથી આપણી માતાઓ અને બહેનોનાં સશક્તીકરણ માટે કામ કરવાની તક મળી છે અને બનાસકાંઠા, બદલાતી સ્થિતિનું સાક્ષી છે.
પ્રધાનમંત્રીએ ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, તારંગા હિલ- અંબાજી- આબુ રોડ લાઇનની કલ્પના વર્ષ 1930માં બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી. આની જરૂરિયાતને 100 વર્ષ પહેલા સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ કમનસીબે, આટલા લાંબા ગાળાથી આ કરવામાં આવ્યું ન હતું. "કદાચ, મા અંબાની ઇચ્છા હશે કે તે મારા દ્વારા કરવામાં આવે. તેમણે માહિતી આપી હતી કે, આ રેલવે લાઇન અને બાય-પાસથી આ વિસ્તાર ટ્રાફિક જામથી મુક્ત થશે અને માર્બલ ઉદ્યોગને પણ મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી આ વિસ્તારમાં ઘણી મદદ મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ મંદિરની આસપાસના વિસ્તારોમાં એટલાં બધાં આકર્ષણો ઊભા કરવાનો છે કે લોકોને તેને આવરી લેવા માટે 2-3 દિવસનો કાર્યક્રમ બનાવવો પડશે. તેનાથી આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન મળશે." આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ, સંસદ સભ્યો શ્રી સી આર પાટીલ, શ્રી પરબતભાઈ પટેલ, શ્રી ભારાસિંહ ધાબી અને શ્રી દિનેશભાઈ અનાવૈદ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
