બારડોલી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
Live TV
-
બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર, બારડોલી-ધુલિયા રોડ ખાતે આયોજિત પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો હતો, તેમના પ્રતિભાવો જાણ્યા હતા, તેમજ પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપી હતી. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં જણાવ્યું હતું કે, દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે, જેના પરિણામે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સ્થાને માનવજીવનમાં અનેક પ્રકારના રોગોનું આક્રમણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે.
આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિનું મિશન આરંભ્યું છે. તેમણે દેશના 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા નવેમ્બર માસમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી, આ મિશન માટે રૂ.2481 કરોડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ઉપાડ્યું છે.
પ્રાકૃતિક કૃષિ એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની ખેતી છે, બન્ને ખેતી પધ્ધતિ વચ્ચેનો ભેદ સમજાવતાં તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌ મૂત્ર, ગોબર થકી જીવામૃત, ઘનજીવામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે.
આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતી દેશના પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવી ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે. અળસિયા એ કુદરતના ખેડૂતો છે જેની મદદથી ખેતીની જમીનની ફળદ્રુપતા તો વધે જ છે, પરંતુ પાક ઉત્પાદન અને સાથે ખેડૂતોની આવક પણ વધે છે. ગાયમાતા અને ધરતીમાતાનું સંરક્ષણ થાય છે. પર્યાવરણ અને સૂક્ષ્મ જીવાણુઓની રક્ષા થાય છે. હવા શુદ્ધ રહે છે અને જમીનની ફળદ્રુપતા-ઓર્ગેનિક કાર્બન વધે છે.
રાજ્યપાલે પાણીની બચત, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર દેશ અને વિશ્વને આપણા વડીલોના જે જીવન જીવતા હતા એવા વિશુદ્ધ જીવનનો માર્ગ બતાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.