બાળ મજૂરી નાબૂદી એ આપણું સામાજિક અને માનવીય કર્તવ્ય: મંત્રી કુંવરજી બાવળીયા
Live TV
-
12 જૂન - 'વિશ્વ બાળમજૂરી વિરોધ દિન'ના અનુસંધાને ગાંધીનગર સ્થિત સ્પીપા ખાતે 'સુરક્ષિત સ્થળાંતર અને બાળ મજૂરી નાબૂદી' વિષય પર બે દિવસીય આંતર-રાજ્ય વર્કશોપનો શુભારંભ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો.
આ કાર્યક્રમનું આયોજન શ્રમ વિભાગ, મહાત્મા ગાંધી લેબર સંસ્થાન (MGLI) અને યુનિસેફ (UNICEF) ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં પ્રવાસી શ્રમિકો સાચા આધારસ્તંભ છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં લાખો શ્રમિકો રોજગારી માટે આવે છે, પરંતુ આ સ્થળાંતર દરમિયાન તેમના બાળકો શિક્ષણ અને સામાજિક સુરક્ષાથી વંચિત ન રહી જાય તે જોવાની આપણી જવાબદારી છે.
શ્રમ નીતિ માત્ર કાગળ પર ન રહેતાં દરેક શ્રમિક પરિવાર સુધી પહોંચવી જોઈએ. રાજ્ય સરકાર જિલ્લા સ્તરે ટાસ્ક ફોર્સને મજબૂત કરીને અને ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા શ્રમિકોને સુરક્ષા આપી રહી છે.બાળ શ્રમ એ બાળકોના ભવિષ્ય પર સીધો પ્રહાર છે. વર્ષ ૨૦૪૭ના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશનું પ્રત્યેક બાળક શિક્ષિત અને સુરક્ષિત હોવું અનિવાર્ય છે. ગુજરાત સરકારે આ દિશામાં 'રાજ્ય કાર્ય યોજના' તૈયાર કરી છે.બાળમજૂરી એ માત્ર કાનૂની નહીં પણ શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલો સામાજિક મુદ્દો છે. આ બે દિવસીય વર્કશોપનો મુખ્ય હેતુ વિવિધ રાજ્યોના સફળ મોડેલની ચર્ચા કરી બાળમજૂરી મુક્ત સમાજ માટેનો રોડમેપ તૈયાર કરવાનો છે. દેશ ઝડપી પ્રગતિ કરી રહ્યો હોય ત્યારે બાળ મજૂરી એ સમાજ માટે કલંક છે. તમામ રાજ્યોએ પોતાના સારા-નરસા અનુભવોની આપ-લે કરીને આ સમસ્યાને જડમૂળથી ઉખાડવી પડશે.આર્થિક પ્રગતિ બાળકના ભોગે ન થવી જોઈએ. યુનિસેફ દ્વારા બાળ મજૂરી અટકાવવા માટે પરિવારોને મજબૂત કરવા, કિશોરોને કૌશલ્ય આપવું અને શિક્ષણને સુરક્ષા કવચ બનાવવાની ત્રણ મુખ્ય બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
