ભરૂચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન, અપીલ કરતાં કહ્યું દેશની જનતા દિવાળીમાં ભારતમાં બનતા ફટાકડા લે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.આજે પ્રધાનમંત્રી પીએમ મોદીએ ભરૂચ માટે રૂપિયા 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. સાથે પ્રધાનમંત્રીના હસ્તે ભરૂચના આમોદથી રૂપિયા ૮ હજાર ૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવ્યા. જંબુસરમાં રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કર્યું તેમજ વડાપ્રધાને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. સાથે અકલેશ્વર એરપોર્ટ ફેઝ–૧ ની કામગીરીનું પ્રધાનમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તેમજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે ભરૂચે ધંધા, રોજગાર, ઉદ્યોગ, બંદર ના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમણે કહ્યું હતું કે આજે શિલાન્યાસ અને લોકાર્પણનું કામ થઇ રહ્યું છે તે રાજ્યના ભૂતકાળના વાર્ષિક બજેટ કરતા વધુ રકમનું થઇ રહ્યું છે. ભરૂચ જિલ્લો કોસ્મોપોલેટીન જિલ્લો બની ગયો છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓ તેમના વિકાસમાં વિવિધ રાજ્યોના લોકોને સાથે લઇને ચાલે છે. આજે ગુજરાતનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ભરૂચને મળ્યું છે.
મેક ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આપણે ભારતમાં બનતા ફડાકડા લઈએ. એ કદાચ થોડો ઓછો અવાજ કરશે તો ચાલશે, પણ તેનાથી ગરીબોનું ઘર ચાલશે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશને આગળ લઇ જવો હોય તો દરેક નાગરિક લઇ જઇ શકે, માત્ર લોકલ ફોર વોકલનો મતલબ સમજવાની જરૂર છે.
વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલમાં નેશનલ સ્પોર્ટસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. દેશ ભરના હજારો ખેલાડીઓ ગુજરાતમાં આવ્યાં છે. તેઓએ રમત ગમત રમીને રાત્રે ગરબા જોવા જતાં હતાં. રાતભર ગરબા જોઇને તેમને અચરચ થતું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દહેજ નિકાસનું હબ બની ગયું છે. આજે દહેજ-બે, દહેજ-ત્રણ સાયખા વિલાયત વિકાસની સમૃદ્ધિના દ્વાર બની ગયા છે. રો રો ફેરી સર્વિસ વિકાસની તાકાત બની છે. દહેજ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન ને ગુજરાત સરકારની ઉદાર નિતીનો લાભ મળી રહ્યો છે. જેમા પેટ્રોલીયમ, કેમિકલ ના ક્ષેત્રોનો લાભ અહી મળતો રહ્યો છે. જેના પગલે દુનિયાભરથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ દહેજ તેમજ ભરૂચ જિલ્લામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી એ કહ્યું કે બે દાયકા પહેલા આપણી છાપ વેપારીની હતી. માલ લાવી વેચી દલાલીથી ગુજરાંત ચલાવતા હતાં. આજે આદિવાસીઓ, માછીમારોને સાનુકુળ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહ્યું છે. કાયદો વ્યવસ્થા સુધરતા લોકોને સુખ શાંતીનું જીવન મળ્યું છે.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ મેગા બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. તે સહિતના ભરૂચ જિલ્લાના વિવિધ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર પાણી, વિજળીની ઉપલબ્ધતા કરાવશે. તેમજ વેરામાં રાહત જાહેર કરી છે. સરકાર ઉદ્યોગકારોને રાહતદરે જમીન ફાળવાશે.
આ ઉપરાંત હવે પ્રધાનમંત્રી અમદાવાદમાં શૈક્ષણીક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદધાટન કરશે જેનાથી અમદાવાદમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણીક સંકુલ બનાવવાનો વર્ષો જુનું સપનું પૂર્ણ થશે જેમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે તમામ સુવિધાઓ હશે. પ્રથમ તબક્કામાં 12 માળની હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. જેમા 116 રુમો છે.. જેમા 400 થી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે. જેની કિંમત 20 કરોડ છે..જેનો શિલાન્યાસ વર્ષ 2013માં પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે કર્યો હતો. પ્રધાનમંત્રી જામનગરમાં 1 હજાર 460 કરોડથી વધુ રકમની યોજનાનું લોકાર્પણ કરશે. આ યોજના સિચાઇ, વિજળી,જળ, શહેરી માળખાગત સુવિધા સંબંધીત છે.
