ભારે વરસાદના પગલે રાજ્યમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો, કોથમીર 400 તો લીબું રૂ.180 કિલો
Live TV
-
ગુજરાતભરમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. વડોદરા, કચ્છ, જામનગર સહિત અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. જેની અસર ખેતીવાડીને પહોંચી છે. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. અતિવૃષ્ટિના કારણે અનેક જિલ્લામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે, દૂધ, શાકભાજી મેળવવા મુશ્કેલ બન્યા છે. તેવામાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
એક તરફ વરસાદનો કહેર તો બીજી તરફ શાકભાજીના ઉંચા ભાવે બધાને રડાવ્યા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના કાલુપુર શાકભાજી માર્કેટમાં છેલ્લા 10 દિવસની અંદર દરેક શાકભાજીના ભાવ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો થયો છે જ્યારે ડુંગળી સૌથી વધુ મહારાષ્ટ્રના નાસિકમાંથી આવતી હોય છે પરંતુ, હાલમાં ત્યાં પણ ખૂબ જ વધુ વરસાદ હોવાને કારણે ડુંગળીની આવક ઘટી છે. જેથી, એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં હોલસેલ માર્કેટમાં 12થી 15 રૂપિયાનો વધારો થયો છે જ્યારે રીટેઈલમાં 20 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં આસપાસના ગામડાઓમાંથી તેમજ નજીકના જિલ્લાઓમાંથી શાકભાજી બજારમાં આવે છે પરંતુ, માલની આવક ઓછી થતાં હોલસેલ બજારમાં દરેક શાકભાજીના ભાવમાં 20 રૂપિયા સુધીનો વધારો થયો છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર જેમ કે, હેગામ, ખેડા, નડિયાદ, દસકોઈ જેવા વિસ્તારમાંથી શાકભાજીની આવક થતી હોય છે પરંતુ, ખેડા અને આસપાસના તમામ જિલ્લાઓમાં વરસાદે તારાજી સર્જી હોવાના કારણે રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને વાહન વ્યવહાર પણ ખોવાયો છે પરિણામે, શાકભાજીની ગાડીઓ અમદાવાદ માર્કેટ સુધી ન પહોંચી શકતા વસ્તુઓના ભાવ અને માલની આવકમાં આ પ્રકારની અસામનતા જોવા મળી રહી છે.