મહીસાગર-લુણાવાડામાં શિક્ષણ મંત્રી કુબેરના અધ્યક્ષ સ્થાને સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
Live TV
-
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. ગાંધીનગર અને મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) સ્વ સહાય જૂથો માટે લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરની વિશેષ ઉપસ્થિતિમાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના માતૃશ્રી હીરાબાના નિધન અંગે મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં છ તાલુકાઓની એન આર એલ એમ શાખાઓ દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપની ૪૦૯ લોન અરજી જમા કરવામાં આવી જેમાં બેન્કોના સહયોગથી આજે ૨૨૫ અરજીઓમાં ૨૧૮ લાખનું ધિરાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, લીડ બેન્ક મેનેજર સહિત બેન્ક અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિજીટલ પેમેન્ટમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર બેન્ક સખી જાગૃતિબેન પંચાલનું વિશેષ સન્માન કરી તેમાંથી પ્રેરણા મેળવવા જણાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ સાથે સાથે બેંક સખી, સ્વ સહાય જૂથોનું સન્માન કરવામાં આવ્યું. સ્વસહાય જૂથની મહિલાઓએ તેમના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સખીમંડળની બહેનોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપ્યું અને સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી હતી.
