મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની સમીક્ષા માટે નર્મદા કેનાલની મુલાકાત લીધી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹ 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી.
મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.
નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.
આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ-39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.
હાલમાં ચાલી રહેલી ફેઇઝ-1ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઇઝ-1 ની કામગીરી માટે ₹ 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
