મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જતા દબાણો સામે સંયુક્ત કાર્યવાહી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શનથી મુજબ શહેરના વિવિધ માર્ગો પર દબાણના કારણે ઊભી થયેલી ટ્રાફિક સમસ્યાઓના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ ટીમ, AUDA, એન્જિનિયરિંગ વિભાગ તથા NHAIની સંયુક્ત ટીમ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તેમની આ સંકલિત કાર્યવાહીથી શહેરના મુખ્ય માર્ગો અને સર્વિસ રોડ પરથી દબાણ દૂર થતાં ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ કાર્યવાહી લાંબા ગાળાના ઉકેલ (લૉન્ગ ટર્મ સોલ્યુશન)ના ભાગરૂપે કરવામાં આવી છે, જેથી શહેરમાં વાહન વ્યવહાર સુવ્યવસ્થિત બની રહે અને નાગરિકોને સરળ અવરજવર મળી શકે.આ અભિયાન અંતર્ગત વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ, મણીનગર રેલવે સ્ટેશન વિસ્તાર, પુષ્પકુંચા રોડ, ગોવિંદવાડી લીમડા, ખોડીયારનગર, સીટીએમ ચાર રસ્તા તેમજ ગરીબ નગર ચાર રસ્તા જેવા ટ્રાફિક સંવેદનશીલ વિસ્તારોમાં માર્ગ અને સર્વિસ રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણોના કારણે માર્ગની પહોળાઈ ઘટી જવાથી તથા ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે જે ટ્રાફિક અવરોધો સર્જાતા હતા, તેને દૂર કરીને માર્ગોને ખુલ્લા કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામરાજ્યનગર ચાર રસ્તા પર સર્વિસ રોડ પર પડેલા દબાણોના કારણે સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. આ સ્થળે પારણાંવાળા બસે અને સામગ્રી હટાવી સર્વિસ રોડ સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો છે, જેના પરિણામે વાહનવ્યવહાર વધુ સરળ બન્યો છે. આ સાથે GSRTC બસ સ્ટેશન સર્વિસ રોડ તરફ, અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ વે નજીક, દિવસ-રાત ચાલતા ઠેલાં અને લારીઓના કારણે સર્જાતો અવરોધ દૂર કરીને સર્વિસ રોડ ખુલ્લો કરાયો છે.ખોખરા સર્કલ ખાતે માર્ગ પહોળો કરવા અને ટ્રાફિક નિયમન સુચારુ બનાવવા માટે દબાણ હટાવવામાં આવ્યા છે, એ જ રીતે, અનુપમ સર્કલ પાસે દુકાનો આગળ આવેલા ઠેલાં, દબાણ અને ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિક ખોરવાતો હતો, ત્યાં દબાણ દૂર કરી તથા ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી કરીને માર્ગ વ્યવસ્થા સુધારવામાં આવી છે.
ગરીબનગર ચાર રસ્તા નજીક મહેમાન હોટલ સામે માર્કેટ તરફથી આવતા માર્ગ પર ટોઇલેટ માટે લગાવવામાં આવેલી ડીપી અને અન્ય દબાણના કારણે ટ્રાફિક અવરોધ સર્જાતો હતો. આ મુદ્દે ઉત્તર અને દક્ષિણ ઝોનની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરીને ડીપી હટાવી તથા દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. સાથે સાથે ટોઇલેટના માલિકને નોટિસ પાઠવવામાં આવી છે.અમરાઈવાડી વિસ્તારમાં એપલ પાર્ક પાછળના રસ્તા પર સોસાયટી એપાર્ટમેન્ટ બાજુ આવેલી કોર્પોરેશનની જગ્યાની દિવાલ તોડી ટોઇલેટના ઉપયોગના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોવાની નોંધ લેવામાં આવી છે. આ મામલો ઈસ્ટ ઝોનની ટીમે કાર્યવાહી કરી ઉકેલ લાવ્યો છે.સંયુક્ત કાર્યવાહીના કારણે ટ્રાફિક પ્રવાહમાં નોંધપાત્ર સુધારો થયો છે અને મુખ્ય માર્ગો પર અવરજવર વધુ સરળ બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં પણ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા તથા જાહેર માર્ગો પરથી દબાણ દૂર રાખવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
