રાજકોટઃ સર્વેશ્વર ચોકમાં વોકળા ઉપરનો સ્લેબ તૂટતાં સર્જાઈ દુર્ઘટના, 1 મહિલાનું મોત
Live TV
-
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે સ્લેબ તૂટતાં દુર્ઘટના સર્જાઈ હતી જે ઘટનામાં 1 વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક ખાતે આવેલ કોમ્પલેક્ષમાં ગત રાત્રીએ સ્લેબ તૂટવાની ઘટના બનતા 40 જેટલા લોકો વોકળામાં ગરકાવ થયા હતા. સર્વેશ્વર ચોકમાં ચાલી રહેલ ગણપતી મહોત્સવના કાર્યકરો, ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ જવાનોએ બચાવ કાર્યમાં લાગી જતા અનેક લોકોને વોકળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ભાવનાબેન ઠક્કર નામના વૃદ્ધા નું મૃત્યુ થયુ હતું જ્યારે 10 થી વધુ ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તેમજ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે તાત્કાલીક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી. 8 થી વધુ 108 એમ્બ્યુલન્સ ટીમ તેમજ 5 થી વધુ ફાયર ફાયટર સ્થળ પર પોહચી લોકોને બનતી તમામ મદદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને પરિસ્થિતિનો તાગ મેળવતા હતા. આ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. દુર્ઘટના સર્જાતાની સાથે જ શહેર ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, મેયર, સહિતના પદાધિકારિયો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોની મદદે આવ્યા હતા.
