રાજ્યપાલના ધર્મપત્ની દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
Live TV
-
રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે આજે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને તેમની ધર્મપત્ની દર્શના દેવીજીના જન્મદિવસ નિમિત્તે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાય છે. આજે રક્તદાન કેમ્પ દરમિયાન 825 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાંધીનગર, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સૌજન્યથી રાજભવન પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ભારતીય સેના, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સ, ગાંધીનગર પોલીસ, હોમગાર્ડઝ, પૂર્વ સૈનિકો, એન.સી.સી., એન.એસ.એસ., નહેરુ યુવા કેન્દ્ર, લોકપાલ, ગુજરાત વિદ્યાપીઠ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ઉપરાંત અક્ષરધામ, બ્રહ્માકુમારીઝ, રક્તકણિકા ગ્રુપ, ઝાલાવાડી સમાજ અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હૉસ્ટના પ્રતિનિધિઓએ રક્તદાન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે તેમની ધર્મપત્ની દર્શના દેવીજીએ રક્તદાતાઓને મળીને આભાર-અહોભાવની લાગણી વ્યક્ત કરી હતી. રક્તદાન કેમ્પ દરમિયાન 825 યુનિટ રક્ત એકત્ર થયું છે, જેનું લેબોરેટરીમાં બ્લડ કમ્પોનન્ટમાં વિભાજન કરીને 2,475 દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકશે.
રક્તદાન કેમ્પ દ્વારા એકત્ર કરાયેલું રક્ત સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં રહેશે. રાજભવન ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડૉ. શશાંક સિમ્પીએ આ રક્તદાન કેમ્પના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. તેમણે રાજભવન પરિવાર વતીથી સહુ સ્વયંસેવકો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.