રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાર્વદેશિક આર્ય વીરાંગના દળની રાષ્ટ્રીય શિબિરના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ હાજરી આપી
Live TV
-
સાર્વદેશિક આર્ય વીરાંગના દળની રાષ્ટ્રીય શિબિર હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં યોજાઈ હતી. દસ દિવસીય શિબિરમાં હરિયાણા ઉપરાંત પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, તામિલનાડુ અને છત્તીસગઢ સહિત નવ રાજ્યોની 400 આર્ય વીરાંગનાઓએ ભાગ લીધો હતો.
આ રાષ્ટ્રીય શિબીરના સમાપન સમારોહમાં રાજભવન-ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, સાંપ્રત વાતાવરણમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ચિંતન અને આર્ય સમાજની વિચારસરણીની પ્રબળ આવશ્યકતા છે. આર્ય વીરાંગના દળની દીકરીઓને તેમણે દેશની યુવા પેઢીના નિર્માણમાં, સામાજિક જાગૃતિમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આજે એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં બહેન-દીકરીઓએ નવા કીર્તિમાન પ્રસ્થાપિત ન કર્યા હોય. ગુજરાતની યુનિવર્સિટીઓમાં દીક્ષાંત સમારોહમાં હું જોઉં છું કે, પ્રથમ 100 ક્રમાંકમાં 80 દીકરીઓ હોય છે. તેમણે દીકરીઓને મનથી મક્કમ અને તનથી સક્ષમ બનવા આહ્વાન કર્યું હતું.
સાર્વદેશિક આર્ય વીરાંગનાદળની રાષ્ટ્રીય શિબિર દરમિયાન મળેલા શિક્ષણ અને પ્રશિક્ષણને જીવનની પૂંજી બનાવવાની પ્રેરણા આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ભારતીય મૂલ્યો અને વેદોમાં વિશ્વ કલ્યાણનું ચિંતન છે. શિબિરમાંથી સાંપડેલા વિચારોનો વિસ્તાર કરીને સમાજને જોડવામાં, રાષ્ટ્રની એકતામાં દીકરીઓ યોગદાન આપે. તેમણે સંસ્કાર સિંચન માટેની આ શિબિરમાં ભાગ લેવા બદલ દીકરીઓને અને તેમના માતા-પિતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
