રાજ્યપાલ કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યો
Live TV
-
ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ભુજ ખાતે યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 6471 વિદ્યાર્થીઓને પીએચ.ડી, અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. ઉપરાંત, ૨પ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરીને રાજ્યપાલે શુભાશિષ આપ્યા હતા.
કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તમારા અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે. રાજ્યપાલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને કહ્યું કે, ચારિત્ર્યવાન યુવા પેઢીનું ઘડતર ખૂબ જ જરૂરી છે કારણ કે, ચારિત્ર્યવાન યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે. સત્યના પથ ઉપર ચાલવા, ધર્મનું આચરણ કરવા અને જીવનમાં પ્રમાણિકતાથી આગળ વધવા રાજ્યપાલે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષ વરિષ્ઠ સાહિત્યકાર અને નિવૃત સનદી અધિકારી વસંત ગઢવીએ વિદ્યાર્થીઓને 'કેર', 'કરેજ' અને કન્સિસટન્સીના ત્રિવેણી સંગમ સાથે જીવન ઘડતર કરવા સૂચન કર્યું હતું. ગઢવીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર કાજે પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાનું આહવાન કરીને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીમાં નવી શિક્ષા નીતિ મુજબનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (પીએમ-ઉષા) અંતર્ગત કચ્છ યુનિવર્સિટીની પસંદગી થતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઊભી કરવા 20 કરોડ રૂપિયાનું અનુદાન મળતા પટેલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છ યુનિવર્સિટીને ઉત્કૃષ્ટ યુનિવર્સિટી બનાવવા સંશોધનની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ પણ કુલપતિએ જણાવ્યું હતું.
કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. જી.એમ.બુટાનીએ રાજ્યપાલની મંજૂરીથી પદવીદાન સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. તેજલકુમાર શેઠ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાના વડાઓ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર્સ, પ્રોફેસર્સ અને કોલેજના આચાર્ય, અધ્યાપકો, કર્મચારી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
