રાજ્યભરમાં તા. 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મું ચક્ષુદાન પખવાડીયું
Live TV
-
મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન” રાજ્યભરમાં તા. 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મું ચક્ષુદાન પખવાડીયું. ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વેગ આપી મહાઅભિયાન બનાવ્યું. ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર. રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં 14 લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કર્યા.
ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2022મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. “મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત 1,476 પ્રાથમિક, 333 અર્બન, 347 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને તેમજ 50 હજાર જેટલી આશા બહેનોને ખાસ તાલીમ આપવામાં આવેલ છે.
આ ઉપરાંત, રાજ્યની દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજયની 1 રીઝયોનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, 22 મેડીકલ કૉલેજ, 22 જિલ્લા હોસ્પિટલ, 36 તાલુકા કક્ષાની હોસ્પિટલ અને 128 સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી એક સંસ્થા ખાતે લીંક અપ કરવામા આવેલ છે.
આ ઉપરાંત રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલો તેમજ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને ફેકોઇમ્લસીફીકેશન પદ્ધતિથી અત્યંત આધુનીક હાઇડ્રોફોબીક નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે. જેનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ અંદાજીત રૂ. 6 થી 8 હજાર જેટલો થતો હોય છે.મોતિયાના ઓપરેશનમાં રાજ્ય અગ્રેસર
વર્ષ 2022થી કેન્દ્ર સરકારે 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને મોતિયાના કારણે અંધ-ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન અંગે ‘રાષ્ટ્રિય નેત્રજયોતિ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી ‘રાષ્ટ્રીય નેત્રજયોતિ અભિયાન’ અંતર્ગત વર્ષ 2022-23માં ફળવાયેલ 1,26,300ના લક્ષ્યાંકની સામે કુલ 6,36,428 એટલે કે 500 ટકાથી વધુ અને વર્ષ 2023-24માં 1,51,700ના લક્ષ્યાંકની સામે કુલ 6,10,400 એટલે કે 400 ટકાથી વધુ મોતિયાના ઓપરેશન કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત વર્ષ 2024-25માં ફળવાયેલ 1,76,900ના લક્ષ્યાંક સામે જુલાઈ-2024 સુધીની સ્થિતિએ કુલ 1,52,720 એટલે કે 86 ટકા મોતિયાના ઓપરેશનની સફળતા મળી છે.ઓપરેશન પછી ફોલોઅપ
મોતિયા અંધત્વ બેકલોક મુકત ગુજરાત હેઠળ દરેક દર્દીની પ્રાથમિક નોંધણી, સંદર્ભ સેવા, ઓપરેશન સેવા તથા ફોલોઅપ સેવા સુધીની ડેટા એન્ટ્રી માટે વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું વેબએડ્રેસ https://cataractblindfree.gujarat.gov.in છે. સાથે જ, ઓપરેશન પછી દરેક દર્દીઓના માર્ગદર્શીકા મુજ્બ 40 દિવસ સુધીના 5 અંતરાળમા ફોલોઓપ લેવામાં આવે છે.ચક્ષુદાન અને કીકી પ્રત્યારોપણમાં પણ ગુજરાત આગેકૂચ
રાજ્યમાં વર્ષ 2020થી જુલાઈ-24 સુધીની સ્થિતિએ કુલ 20818 ચક્ષુદાન અને 4701 કીકી પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વર્ષ 2020-21માં 2,536 ચક્ષુદાન અને 626 કીકી પ્રત્યારોપણ, વર્ષ 2021-22માં 4,655 ચક્ષુદાન અને 1,020 કીકી પ્રત્યારોપણ, વર્ષ 2022-23માં 5,441 ચક્ષુદાન અને 1,121 કીકી પ્રત્યારોપણ અને વર્ષ 2023-24માં 6,082 ચક્ષુદાન અને 1,454 કીકી પ્રત્યારોપણ થયા છે. જ્યારે, ચાલુ વર્ષમાં જુલાઈ-24 સુધીની સ્થિતિએ 2104 ચક્ષુદાન અને 480 કીકી પ્રત્યારોપણ થયા છે. સરકાર હસ્તક હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તમામ ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન લેવા માટેની 15 દિવસની સર્ટીફાઇડ તાલીમ પણ અપાઈ છે.