રાજ્યમાં ભારે વરસાદને કારણે નાગરિકોને સહાયરૂપ થવા વહીવટી તંત્ર ખડેપગે કાર્યરત
Live TV
-
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સાપેક્ષે 140 ટકા વધારે વરસાદ નોંધાયો છે.
વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજે ચોથા દિવસે પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું. જેમાં 07 વ્યક્તિને બોટમાં બેસાડી સલામત બહાર કાઢવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે અસર પામેલા 262 લોકોને સલામત રીતે NDRF,SDRF, Police, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોના સહયોગથી ઉગારી લેવામાં આવ્યા હતા.
ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી અત્યાર સુધીમાં સ્થાનિક તંત્ર અને એનડી આરએફ દ્વારા વડસરમાંથી કુલ 125 વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી. અગાઉ 1877 અને ગઈકાલે 364 સહિત કુલ 2241 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જે પૈકી પાણી ઓસરતાં 906 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે.જ્યારે 1335 લોકો આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે. આશ્રય સ્થાનોમાં જિલ્લા પ્રશાસન, વડોદરા મહાનગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અસર ગ્રસ્તોને ભોજન,પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
વડોદરા શહેર જિલ્લામાં ભારે વરસાદને કારણે માનવ મૃત્યુ,માનવ ઈજા, મકાન નુકશાની,પશુ મૃત્યુ,કેશ ડોલ્સ સહાય ચુકવણી માટે સરવેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. સરવેની કામગીરી પૂર્ણ થતાં અસરગ્રસ્તોને સહાયની રકમ ચૂકવવામાં આવશે. નવસારી તાલુકાના આમ્રી ગામના આશ્રયસ્થાન ખાતે અંદાજીત 135 જેટલા નાગરિકો રોકાયાં છે. જેઓ માટે જમવાની વ્યવસ્થા નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર નવસારી જિલ્લામાં અંદાજિત 2,030 જેટલા શહેરી વિસ્તારમાં અને ગ્રામ્યમાં 1,200 નાગરિકો માટે પ્રસાશન દ્વારા અંદાજીત 12,000 જેટલા ફૂડ પેકેટની વ્યવસ્થા વિવિધ ટીમ મારફત પહોચાડવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સાપેક્ષે 140 ટકા વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની સ્થિતિ પગલે કુલ 59 જેટલા લોકોનું રેસ્ક્યું તેમજ 303 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વરસાદની સ્થિતિને પરિણામે જિલ્લામાં કુલ ૨૪ પશુ મૃત્યુ થયા છે જેમાંથી ૨૨ પશુઓની સહાયની ચૂકવણી થઈ ચૂકી છે. જિલ્લામાં 946 વીજપોલ ક્ષતિગ્રસ્ત પામ્યા હતા જેમાંથી 685 જેટલા વીજપોલના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે બાકીના પોલની કામગીરી પ્રગતિમાં છે.
ઉપરાંત જિલ્લામાં 13 હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તેની તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર મેઘ વર્ષા બાદ જન જીવન સામાન્ય બન્યું છે.વરસાદે વિરામ લીધા બાદ રોગચાળો પ્રસરે નહીં તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં દવા છંટકાવ, કલોરિનેશન તથા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
